ગાંધીનગરઃ રાજ્યમાં સતત વરસાદના લીધે મોસમનો કુલ વરસાદ ૧૨૫ ટકા વટાવી ગયો છે. રાજ્યમાં કુલ ૨૦૪ જળાશય-ડેમમાંથી ૧૧૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. ૫૭ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા ભરાયા છે. રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા ૩૦મી સપ્ટેમ્બરે જાહેર કરાયું કે સરદાર સરોવર જળાશય તેની કુલ સંગ્રહશક્તિના ૯૮.૪૩ ટકા ભરાયો છે અને હજી વરસાદ ચાલુ રહેવાથી જળસપાટીમાં વધારો નોંધાઈ શકે છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં હાલની સ્થિતિએ ૬૫.૦૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૭.૮૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૮.૨૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૬.૮૭ ટકા તેમજ સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૯૦.૦૮ ટકા આમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં ૯૨.૩૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. ગત વર્ષે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધીમાં માત્ર ૫૪.૮૯ ટકા પાણીનો જથ્થો નર્મદા ડેમમાં હતો.
હાલમાં સરદાર સરોવર ડેમમાં ૨.૨૭,૬૧૪ કયુસેક, ઉકાઇમાં ૧,૦૯,૪૮૫ કયુસેક, ભાદર-૨માં ૧,૦૮,૩૧૦ કયુસેક તેમજ અન્ય ૧૯ જળાશયોમાં ૬૧,૩૭૯થી ૧૦,૦૦૦ ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે ૭૦ જળાશયોમાં ૯,૭૮૨ થી ૧,૦૦૦ ક્યુસેક પાણીની આવક થઇ છે. જોકે રાજ્યમાં હજી વરસાદ ચાલુ હોવાથી પાણીની આવકમાં વધારો નોંધાઈ શકે છે.
નવરાત્રિમાં વા વાયાને વાદળ ઉમટ્યા
પાર્ટી પ્લોટ અને મેદાનોમાં ગરબા માટે આયોજકોએ નવરાત્રિની તડામાર તૈયારીઓ કરી હતી અને ખેલૈયાઓ થનગનતા હતા એવામાં પહેલે અને બીજે નોરતે વરસાદ વેરી થઈને ત્રાટક્યો હતો. રાજ્યમાં ભારે વરસાદના પગલે આયોજકો દ્વારા પ્રથમ બે નોરતા રદ કરાયાની જાહેરાત પણ કરવી પડી હતી. ઉપરાંત નોરતામાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરતાં ખેલૈયાઓમાં ભારે નિરાશા ફેલાઈ હતી.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, કચ્છ ઉપર વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યું છે અને પૂર્વ ઉત્તર તરફ આગળ વધીને ડિપ્રેશનમાં તબદીલ થવાથી વરસાદી માહોલ રહેશે.
• અમદાવાદમાં સોમવારે વાવાઝોડું ત્રાટકતાં ૭૫થી વધુ ઝાડ પડ્યા હતા અને શાહીબાગ અંડરપાસ પાસે આવેલી રેલવેના ઓફિસર કોલોનીમાં ઝાડ પડતા એક રેલવે કર્મચારીનું મોત નીપજ્યું.
• સતત વરસાદથી મગફળી, કપાસ, બાજરી વગેરે પાક બળી જતાં ખેડૂતોએ મોટી નુક્સાની વેઠવા સાથે લીલા દુષ્કાળની સ્થિતિથી નુક્સાની થયાનું જણાવ્યું છે. કેટલાક ખેડૂતોએ વીમો અને સરકારી સહાયની પણ માગ કરી છે.
• યાત્રાધામ શામળાજીમાં મેશ્વો ડેમ ઓવર ફ્લો થતાં ચાર હજાર ક્યુસેક પાણી હાથમતી નદીમાં છોડાતાં આસપાસના ગામોને સોમવારે એલર્ટ કરાયાં હતાં. રવિવારે રાત્રે ખાબકેલા ધોધમાર ૭ ઈંચ વરસાદને પગલે ભિલોડા અને આસપાસના વિસ્તારો પાણી પાણી. બુંઢેલી અને ઈન્દ્રાશી નદીની સપાટી ભયજનક.
• અરવલ્લીના ભિલોડામાં સોમવારે એક દિવસમાં ૭ ઈંચ વરસાદ. ૨૦ ગામોનો સંપર્ક તૂટ્યો. મોડાસાના લાલપુરમાં દીવાલ ધરાશાયી થતાં ૭ દટાયાં હતા જેમાંથી એકનું મોત થયું હતું.
• પાટણ, દિયોદર અને કાંકરેજમાં પહેલીએ ૪ ઈંચ વરસાદ પડતાં જનજીવન ઠપ્પ.
• માણાવદર તાલુકામાં ભાદર નદીનાં પાણી ફરી વળ્યા હતા. સરાડીયા, વેકરી, મરમઠ, ચીખલોદ્રા સહિત ૧૫ ગામો જળબંબાકાર હતા. જૂનાગઢ, માણાવદર, પોરબંદર સ્ટેટ હાઇવે પર ૩થી ૬ ફૂટ પાણી ભરાતાં હાઇવે બંધ કરાયો હતો.
• પોરબંદરના શીશલી ગામે ખોડિયાર મંદિર અડધોઅડધ પાણીમાં ગરક થઇ ગયું હતું. સૌરાષ્ટ્રમાં મગફળી સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ છે.
• પોરબંદર જિલ્લાના કાંઠા વિસ્તારોમાં સંખ્યાબંધ લોકોને રેસ્ક્યુ કરાયાં હતાં. સોઢા ગામે કારમાં ટયુશન સંચાલક વિરેન મજેઠિયા તેના માતા પિતા સાથે કુંજવેલ પાસે તણાઈ ગયાં હતાં. વિરેનભાઈનો મૃતદેહ મળ્યો હતો.
• કુતિયાણા અને રાણાવાવ પંથકમાં એનડીઆરએફ ટીમે ૨૨ લોકોને રેસ્કયુ કર્યાં હતાં.
• મર્મઠ ગામના બે ડેંગ્યુના દર્દી પાણીમાં ફસાતાં બચાવાયા હતા. ધંધુસરની ઉબેણ નદીમાં ફસાયેલા ૪ ને બચાવ્યા હતા જ્યારે મોરબીમાં છકડો રિક્ષામાં ફસાયેલા બે લોકોને બચાવાયા હતા.
• જામનગરના લાંબામાં સોમવારે ૧૬ ઇંચ વરસાદ થયો હતો. ભાદર ડેમમાંથી પાણી છોડાતાં પોરબંદર-જૂનાગઢ હાઇવે બંધ કરાયો હતો.
• રાજકોટ જિલ્લામાં વરસાદથી પાકને નુકસાન થતાં ખેડૂતોએ સરકાર દ્વારા સરવે કરી વળતર આપવા અને ભાદર ૧ ડેમનું પાણી માત્ર સિંચાઇમાં આપવા કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યાં હતાં.
• ઉકાઈ ડેમની સપાટી ૩૪૪.૩૭ ફૂટ, સુરતને ૨૩ વર્ષ ચાલે એટલું પાણી છોડી દેવાયું. સુરતના ચોર્યાસી અને ઉધનામાં સોમવારે બે ઈંચ વરસાદ.
• ૨૯ સપ્ટેમ્બરથી ૩૬ કલાકમાં ભુજ જિલ્લામાં ૭.૫ ઇંચ વરસાદ. ભચાઉમાં ૧.૭૫, કકરવામાં ૩ ઇંચ વરસાદ, રાપરમાં ૫.૭૫ ઈંચ વરસાદથી જનજીવન ઠપ્પ. આડેસરમાં એક દુકાનના શટરમાં શોર્ટસર્કિટ થતાં ૨ ગૌવશંના મોત.