અમદાવાદ: કોરોના સંકટમાં અને લોકડાઉન પછી ઉદ્યોગજગતની સૌથી મોટી મુશ્કેલી શ્રમિકોની અછતની ઊભી થઈ છે. લોકડાઉનમાં વતન જતા રહેલા મોટાભાગના શ્રમિકો હજુ રાજ્યમાં પાછા આવવા નથી માગતા. આ મુશ્કેલીથી અમદાવાદ - સુરત મેટ્રો યોજનાનું કામ પણ ખોટકાઈ ગયું છે. બધું જ નક્કી થયા પછી પણ શ્રમિકોની અછત સૌથી મોટો અવરોધ છે. આ સ્થિતિમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને (જીએમઆરસીએલ) રૂ. ૧૨ લાખ ખર્ચીને ઓડિશાથી વિમાનમાં ૧૫૦ શ્રમિકોને બોલાવ્યા છે. એવું મનાય છે કે, હજુ વધારે મજૂરોને વિમાનમાં લાવવામાં આવશે. અનલોક ૧-૨ પછી પણ અમદાવાદ મેટ્રો યોજના બેહાલ છે. તેમાં ૪૦ કિમી લાંબી ઈસ્ટ-વેસ્ટ કોરિડોરનું અન્ડરગ્રાઉન્ડ કામ શરૂ થઈ ગયું છે. લોકડાઉન પહેલાં અહીં ૭૦૦ એક્સપર્ટ શ્રમિક કામ કરતા હતા જે મોટા ભાગે ઓડિશા અને ઝારખંડના હતા.
ફક્ત ૨૦ ટકા શ્રમિક કાર્યરત
અમદાવાદ મેટ્રો યોજના માટે હાલ ફક્ત ૨૦ ટકા શ્રમિક હાજર છે કારણ કે, લોકડાઉનમાં કામ બંધ હતું. અનલોક ૧-૨ પછી અમદાવાદમાં ૪૦ કિ.મી. ઈસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોરમાં ફક્ત ૬ કિ.મી. મેટ્રો રેલ ટ્રેક પર ટ્રેન દોડે છે, જ્યારે બાકીના પટ્ટામાં કામ ચાલુ છે. તેના મોટા ભાગના રૂટ કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે. જેથી શ્રમિકો વતન જતા રહ્યા હતા.
હજુ શ્રમિકોની જરૂર: GMRCL
જીએમઆરસીએલે કહ્યું કે, કોરોનાના કારણે હજુ અમદાવાદ મેટ્રો માટે શ્રમિકોની જરૂર છે. અમદાવાદમાં ૫૦ ટકાથી વધુ કામ શરૂ થયું છે. સુરતમાં પણ ટેન્ડર અપાઈ ગયા પછી મોટી સંખ્યામાં શ્રમિકોની જરૂર પડશે એટલે આવતા દોઢ મહિનામાં ટેન્ડરો અપાતા શ્રમિકોની અછત કદાચ પૂરી થઈ જશે.
પહેલાં ૭૦૦ શ્રમિક કામ કરતા
જીએમઆરસીએલે કહ્યું કે, અહીં લોકડાઉન પહેલા અન્ડરગ્રાઉન્ડ કામના આશરે ૭૦૦ નિષ્ણાત શ્રમિકો કામ કરતા હતા. અનલોક ૧-૨ પછી તેમને અહીં પાછા બોલાવવાનું કામ શરૂ થયું. ૧૫૦ શ્રમિકોને તો વિમાનમાં લવાયા છે. તેમને અહીં લાવવા કોન્ટ્રાક્ટરે રૂ. ૧૨ લાખનો ખર્ચ કર્યો છે. તેમાં મોટા ભાગના શ્રમિક ઓડિશાના, જ્યારે કેટલાક ઝારખંડ અને બિહારના છે.