રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી ૧૫૫ લોકોના મોત

Tuesday 17th February 2015 13:30 EST
 

રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી થયેલા મોતની સંખ્યામાં દરરોજ વધારો નોંધાઇ રહ્યો છે. મંગળવાર સાંજ સુધીમાં રાજ્યમાં કુલ ૧૫૫ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સ્વાઇન ફ્લૂના નવા ૧૫૫ કેસ પણ પોઝિટિવ નોંધાયા છે, જેથી આવા કેસની સંખ્યા ૧૭૮૧ પર પહોંચી છે. જેમાં સૌથી વધુ પોઝિટિવ કેસ કચ્છ જિલ્લામાં નોંધાયા છે. રાજ્યના ૨૦ જિલ્લામાં સ્વાઇન ફ્લૂની સૌથી વધુ અસર જોવા મળી છે, તેમાં અમદાવાદ, કચ્છ, રાજકોટ, જામનગર, સુરત, ભરૂચ, વડોદરા, ભાવનગર, આણંદ, ખેડા, વગેરેનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ હજી એકાદ અઠવાડિયા સુધી સ્વાઇન ફ્લૂની વધુ અસર રહેશે અને પછી ધીરે ધીરે ૩૧ માર્ચ સુધીમાં તેના પર નિયંત્રણ આવે તેવી સંભાવના છે. 

રિન્યૂએબલ એનર્જીમાં શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાત સરકારને એવોર્ડઃ કેન્દ્ર સરકાર દ્વારા પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરતા રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગત સપ્તાહે દિલ્હી ખાતે યોજાયેલી રિ-ઇન્વેસ્ટ ફર્સ્ટ રિન્યૂએબલ એનર્જી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસ્પોમાં ૧ એપ્રિલ ૨૦૧૦થી ૩૧ માર્ચ, ૨૦૧૪ દરમિયાન પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગુજરાતના નાણાં-ઊર્જા પ્રધાન સૌરભ પટેલને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ એનાયત કર્યો હતો. રાજ્યમાં કુલ ઊર્જા ઉત્પાદનમાં ૧૮.૭૭ ટકાનો હિસ્સો રિન્યૂએબલ એનર્જીનો છે.

૧૪ જુલાઈથી ૧૫ સપ્ટેમ્બર સુધી શુભકાર્યો વર્જિતઃ જુલાઈ ૨૦૧૫થી ઓગસ્ટ ૨૦૧૬ સુધી રહેનારા સિંહસ્થ ગુરુ યોગ દરમિયાન લગ્ન નહીં કરી શકાય તેવી વાત છેલ્લા કેટલાય સમયથી ચાલે છે. આ મુદ્દે કોઈક સમાધાન કરવા માટે જ અખિલ ગુજરાત એસ્ટ્રોલોજિકલ સોસાયટી દ્વારા યોજાયેલા સંમેલનમાં સર્વાનુમતે એવું નક્કી કરાયું કે, મઘા નક્ષત્રના ચાર ચરણ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું એક ચરણ મહા અશુભ ગણવું. આથી માત્ર ૧૪-૭-૧૫થી ૧૫-૯-૨૦૧૫ સુધીનો સમય વધારે અશુભ ગણાતો હોવાથી આ સમય દરમિયાન વિવાહ, દેવ પ્રતિષ્ઠા કે શુભ કાર્યો કરી લાંબી યાત્રા પ્રતિષ્ઠા અને વિવાહ આદી કર્મોમાં સર્વત્ર વર્જિત ગણવા. ૧૪ જુલાઇથી ૧૧-૮-૧૬ સુધીનો સિંહસ્થ ગુરુ પીડાકારક સર્વત્ર નથી મેષ રાશિના સૂર્યમાં ૧૪-૪-૧૬થી ૧૪-૫-૧૬ સુધીમાં શુક્ર અસ્તનો હોવા છતાંય શુક્રની પૂજા કરાવી લગ્નના મુહૂર્તો લઈ શકાય. ૬૧ વર્ષ સુધીમાં ૬ વખત બૃહસ્પતિ સિંહસ્થ થયો.

૧૯ ફેબ્રુઆરી સુધી તિસ્તાની ધરપકડ નહીં થાયઃ સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની ધરપકડ સામે ૧૯ ફેબ્રુઆરી સુધી સ્ટે લગાવ્યો છે. સર્વોચ્ચ અદાલતમાં તે દિવસે જ કેસની આગામી સુનાવણી પણ થશે. સેતલવાડ પર ગુજરાતનાં રમખાણપિડીતો માટેની રકમમાં હેરાફેરી કરવાનો આરોપ છે. અગાઉ ગરીબોના પુનરોદ્ધાર માટે ભેગી કરાયેલી રકમમાંથી પાંચ પૈસા પણ વાપરતાં શરમ આવવી જોઇએ એવું અવલોકન ગુજરાત હાઇકોર્ટે તિસ્તા સેતલવાડની આગોતરા જામીનઅરજી ફગાવતાં કર્યું હતું. તિસ્તા સેતલવાડે ગુલબર્ગ સોસાયટીના અસરગ્રસ્તોના કલ્યાણ માટે એકઠાં કરાયેલાં નાણાંનો પોતાના મોજશોખ માટે ઉપયોગ કરવાના કેસમાં હાઇકોર્ટમાં આગોતરા જામીનઅરજી કરી હતી જેને જસ્ટિસ જે. બી. પારડીવાલાએ ફગાવતા એવું અવલોકન કર્યું હતું કે આરોપી જો સ્વચ્છ હોય તો તેણે પોલીસ તપાસથી ભાગવું ના જોઇએ. પોલીસને તપાસમાં સહકાર આપવાની ફરજ બને છે, તપાસ એજન્સીએ રજૂ કરેલા દસ્તાવેજો પણ તિસ્તાએ નાણાંની ઉચાપત કરી હોવાનું સમર્થન આપે છે.

૧૭ જિલ્લાનું રાજકીય પુનઃગઠન કરવા જાહેરનામુંઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત સરકારે ૩૧ જિલ્લા પંચાયતોની ચૂંટણીની તૈયારી ઝડપી બનાવી છે. સરકારના પ્રધાનોની સમિતિએ ઝડપથી ૧૭ જિલ્લાઓનો રાજકીય નકશો તૈયાર કરવા માટે બેઠકો નક્કી કરી છે જેથી ચૂંટણીની તૈયારી શરૂ કરી શકાય. હજુ ૧૬ જિલ્લાઓની બેઠકો નક્કી થઈ રહી છે. સરકારનો આ નિર્ણય ત્રણ કરોડથી વધુ લોકોને અસર કરે છે. રાજ્ય ચૂંટણી પંચને ૧૭ જિલ્લાઓની યાદી મોકલીને તેની વિસ્તાર પ્રમાણે બેઠકોના વોર્ડ નક્કી કરવા માટે જણાવાયું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં મતો મેળવવા માટે સાત નવા જિલ્લાઓની રચના કરીને રાજકારણ કર્યા બાદ હવે ઓક્ટોબરમાં ૩૧ જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજવા માટે બેઠકો અને તેના વિસ્તારો નક્કી કરવા માટે રાજ્ય ચૂંટણી પંચને કહેવાયું છે. આ ૧૭ જિલ્લાઓમાં રાજકોટ, ગાંધીનગર, વડોદરા, દેવભૂમિ દ્વારકા વગેરેનો સમાવેશ થાય છે.

આપ’ની નજર હવે ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓ પરઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ આમ આદમી પાર્ટી (આપ)ના ગુજરાત એકમમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. પાર્ટીએ રાજ્યમાં યોજાનારી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લડવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત ‘આપ’ ટૂંક સમયમાં ગુજરાતમાં સંગઠન વધુ મજબૂત કરવાની સાથે જ ભૂમિ અધિગ્રહણના વટહૂકમ મુદ્દે રાજ્ય સરકાર સામે આંદોલન શરૂ કરવાના સંકેત પણ આપ્યા છે. ‘આપ’ના સુખદેવ પટેલે જણાવ્યું હતું કે, ‘અમને બહુમતી મળશે તેવો પૂરો વિશ્વાસ હતો. અમને એવી પણ ખાતરી હતી કે ગત દિલ્હીમાં મળેલી ૨૮ બેઠક કરતા અમે બમણી બેઠક મેળવીશું. જોકે, ૬૦ કરતા વધુ બેઠક મળશે તેવી તો કલ્પના પણ નહોતી.’ 

બહેરામપુરાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજયઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં પણ મહાનગરપાલિકા અને નગરપાલિકાની કેટલીક બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસનો ૪૮૮૫ મતે વિજય થયો હતો. જ્યારે ધોળકામાં પણ ભાજપના ઉમેદવારનો ૨૦૧૪ મતે વિજય થયો હતો.

૫૧ હજાર રોકડા અને કાર આપો તો જ લગ્ન કરીશ! અમદાવાદમાં ગત સપ્તાહે યોજાયેલ એક લગ્ન સમારંભ વરરાજા અને તેના પિતાની ધરપકડ થઇ હતી. ઓઢવ રામરાજ્ય નગર ખાતે રહેતા ફુલચંદ ગુપ્તાની પુત્રી પૂનમ (૨૨)ના લગ્ન ગોમપુરના વિનોદ માણેકશાના પુત્ર લવકેશ સાથે નક્કી કર્યા હતા. ૮ ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા. તિલકવિધિમાં દીકરીના પિતાએ પણ રૂ. ૧૫ હજાર મૂક્યા હતા. આથી વિનોદ માણેકશાએ કહ્યું હતું કે રૂ. ૧૫ હજાર ન ચાલે. આથી દીકરીના પિતાએ કહ્યું કે અમે બીજા રૂ. ૧૦ હજાર આપીએ બસ. ત્યારબાદ તિલકવિધિ કરવા જતાં વિનોદ માણેકશાએ તેમને અટકાવી કહ્યું હતું અમારે રૂ. ૫૧ હજાર રોકડા અને વરરાજા માટે કાર જોઇએ તો જ મારો દીકરો લગ્ન કરશે. વરરાજાએ પણ આ જ માંગણી કરી હતી. દીકરી અને પિતાએ સામેના પક્ષની માગણી નકારીને જાનને પાછી મોકલી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે વરરાજા અને તેના પિતાની ધરપકડ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter