ગાંધીનગરઃ રાજ્યમાં રવિવારથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ પર બારે મેઘ ખાંગા થયાં છે. મંગળવાર સુધીમાં રાજ્યમાં ૧૧૪ તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં વરસી રહ્યો છે. ખંભાળિયામાં ૫૬ કલાકમાં ૩૫ ઈંચ વરસાદ સાતમીએ નોંધાયો છે.
સોમવારે રાજ્યના ૨૧૫ તાલુકામાં ૧૬ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ જામનગરના કાલાવડમાં ૧૬ ઈંચ ખાબક્યો હતો. દ્વારકામાં ૮૭ વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટી ગયો અને રાજ્યમાં પણ દ્વારકા જિલ્લો સરેરાશ આશરે ૧૦ ઈંચથી વધુ વરસાદ સાથે પ્રથમ છે. આ સાથે સંપૂર્ણ ગુજરાતમાં ચોમાસાનો ૨૫ ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં રવિવાર રાતથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. સોમવારે રાજકોટમાં ૧૮ કલાકમાં ૧૦ ઈંચ, કાલાવડમાં ૧૪.૫ ઇંચ વરસાદ થયો હતો. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જામનગરના કાલાવડમાં મુશળધાર સાડા બાર ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ અને મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અડધાથી પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં પણ સોમવારે અને મંગળવારે ભારે વરસાદ થયો. પોરબંદર જિલ્લામાં ૧૪ ઈંચ વરસાદ સાથે રાણાવાવ તાલુકામાં દોઢ ઇંચ, પોરબંદરમાં પોણો ઇંચ અને કુતિયાણામાં પોણો ઇંચ વરસાદ થયો હતો. જ્યારે અમરેલી જિલ્લામાં મધ્યમથી પાંચ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. છઠ્ઠી અને સાતમીએ એકધારા વરસાદને લીધે દક્ષિણ સૌરાષ્ટ્રની તમામ નદીઓ જીવંત થઇ ઉઠી છે. અને તમામ જળાશયોમાં પાણીની આવક થવા લાગી છે. ગોહિલવાડ પંથકમાં મહુવા પંથકમાં બે ઇંચ અને તળાજામાં એક ઇંચ વરસાદ સાતમીએ વહેલી સવારે થયો હતો.
૧૨ ડેમઃ ૧૦૦ ટકા આવક
સૌરાષ્ટ્રના ૧૨ ડેમમાં ૧૦૦ ટકા આવક નોંધાઈ છે અને ૧૩ ડેમમાં ૯૦ ટકાથી વધુ ટકા સુધી પાણીનો સંગ્રહ થયો હોવાના અહેવાલ છે. સૌરાષ્ટ્રના ૩૬ ડેમમાં ભારે પાણીની આવક જોવા મળી છે. તેમાંથી પણ ૧૨ ડેમ ૧૦૦ ટકા, ૧૩ ડેમ ૯૦ ટકા અને ૧૧ ડેમ ૮૦થી ૯૦ ટકા સુધી ભરાયા છે. જળસંપત્તિ વિભાગની વેબસાઈટમાં રજૂ કરવામાં આવતી દૈનિક જળાશયોના લેવલની યાદીમાં ૩૬ ડેમમાંથી ૨૫ ડેમમાં પાણીનું લેવલ ૯૦ ટકથી વધુ હોવાથી તેને હાઈ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે ૧૧ ડેમને એલર્ટ પર રખાયા છે.
નવા નીરથી ખેડૂતોમાં ખુશી
સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં પાણીની તંગી જોવા મળતી હોય છે, પરંતુ છેલ્લી બે સિઝનથી ચોમાસું સારું જઇ રહ્યું છે. એક તરફ સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા અતિભારે વરસાદથી અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. નદીઓ ગાંડીતુર બની છે. તો બીજી તરફ જળાશયોમાં પાણીની આવક વધવાથી રાજ્ય સહિતના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળે છે.
કચ્છમાં મેઘો મહેરબાન થતાં ભચાઉમાં પાંચ, ગાંધીધામ, અંજારમાં બે અને રાપરમાં સોમવાર અને મંગળવારમાં દોઢ – દોઢ ઇંચ વરસાદ થયો હતો. મંગળવારે ભુજમાં પોણો અને મુન્દ્રામાં અડધો ઇંચ વરસાદ થયો હતો.
દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ
દક્ષિણ ગુજરાતમાં રવિવારથી છુટા છવાયાથી લઈને ભારે વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં સાતમીએ સરેરાશ દોઢથી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારીમાં ૩ ઇંચ અને સુરત જિલ્લામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લામાં સતત સાતમીએ બીજા દિવસે મેઘાની ઇનિંગ જારી હતી. જલાલપોરમાં ૩, ચીખલીમાં ૨.૫, ખેરગામમાં ૧.૭૫ ઇંચ વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતના તમામ ૩૨ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વઘઈમાં ૪ ઈંચ ખાબક્યો હતો. ઉમરસાડીગામે દરિયા કિનારે ઊર્દૂમાં લખાણ ધરાવતી અજાણી બોટ તણાઈ આવતાં દોડધામ મચી હતી. ગામલોકોએ પારડી પોલીસમાં જાણ કરાતાં પોલીસે કોસ્ટગાર્ડને જાણ કરી હતી. દમણ કોસ્ટગાર્ડની ટીમે હવાઈ જહાજ મારફતે ઉમરસાડી દરિયા કિનારે ચક્કર લગાવ્યો હતો. તપાસમાં જણાયું કે આ બોટ દમણ દરિયા કિનારે તણાઇ આવેલી ઈરાની બોટ છે. સાતમીએ બારડોલીમાં ૪૬, ચોર્યાસીમાં ૨૫, કામરેજમાં ૨૫, મહુવામાં ૨૨, માંગરોલમાં ૩૪, ઓલપાડમાં ૪૨, પલસાણામાં ૫૨, ઉમરપાડામાં ૩૮ મિમી વરસાદ પડ્યો હતો. ગણદેવી તાલુકામાં વધુ ૩ ઇંચ સાથે સિઝનનો સાડા આઠ ઇંચ વરસાદ વરસતાં દેવધા ડેમના તમામ દરવાજા ખોલાયા હતા.
• અમદાવાદ શહેરમાં છઠ્ઠીએ એક ઇંચથી વધુ વરસાદ થતાં વાસણા બેરેજના ૨ ગેટ અઢી ફૂટ સુધી ખોલાયા હતા.
• રાજકોટમાં ૩ સ્થળે ઝાડ ધરાશાયી થયા. પડધરીનાં ખીજડિયામાં ભારે વરસાદ પડતાં ગૌશાળામાંથી ૪૦ જેટલા પશુઓ પાણીના વેગમાં તણાયા. ઉપલેટાના ખાખીજાળીયામાં નદીમાં ગાય તણાઇ. ઉપલેટાનું સાતવડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ધ્રોલમાં NDRFની ટીમે વાડીએ ફસાયેલા બે મજૂરોને બચાવ્યા. મુંજકામાં દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત. રાજકોટમાં ચાલુ વરસાદે વીજપોલમાં ફટાકડાની જેમ ભડાકા થયા. કોડીનારમાં ૧ અને ઉનામાં ૧૫ વીજ પોલ ધરાશાયી થયા. કેશોદના ઘેડ બામણાસામાં ગામમાંથી ખેતરોમાં અવરજવર માટેનો પુલ ધરાશાયી થયો હતો.
• જામનગરમાં સ્મશાનમાં પાણી ચારેક ફૂટ પહોંચતા ૧૩ વર્ષમાં પહેલીવાર સ્મશાન બંધ કરાયું. વેણુ નદી બે કાંઠે વહેતાં સિદસર મંદિરમાં પાણી ભરાયું. જામનગર પાસેના દરેડનું અડધું ખોડિયાર મંદિર પાણીમાં ડૂબી ગયું. જૂનાગઢ-વેરાવળ હાઇવે પર માણેકવાડાનું માલબાપા મંદિરમાં સાબલી નદીના પાણી ઘૂસી ગયાં હતાં. કુતિયાણા નજીક ટેરી ગામે મંદિર પાણીમાં ગરક થયું.
જૂનાગઢમાં વાઘેશ્વરી મંદિરના દરવાજા પાસે, કેશોદના અજાબ ગામે અને કોડીનારમાં રહેણાક વિસ્તારમાં મગર પકડાયા. વન વિભાગે પાંજરે પૂર્યાં.
• સૌરાષ્ટ્રમાં શેત્રુંજી, ઓઝત, હીરણ સહિતની નદીઓ ગાંડીતૂર બનીને વહે છે. ગઢકી, સાની, જામનગર – સસોઈ, રણજીતસાગર અને લાલપરી તળાવ ઓવરફ્લો. રાજકોટ - આજી, ન્યારીમાં પાણી પાણી. જૂનાગઢ – આણંદપર અને વેલિંગ્ટન ડેમ, નરસિંહ સરોવર છલકાયાં. જૂનાગઢના ઓઝત-૨ ડેમના ૩ દરવાજા ખોલાયાં છે. ઉપલેટા - મોજ ડેમ, માળિયા - ભાખરવડ, પોરબંદર જિલ્લાના સોરઠી, મેઢાક્રીક અને ફોદાળા ડેમ ઓવરફલો. સૌરાષ્ટ્રમાં સાતમીએ મોટાભાગના ગામ - શહેરમાં નીચાણમાં વસતા લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ.
• દ્વારકામાં ભારે વરસાદથી બેટ દ્વારકામાં વરસાદી પાણી દરિયા સાથે ભળી ગયું હતું. દરિયામાં પણ કરંટ હોવાથી વરસાદી પાણી અને દરિયાનું પાણી મિશ્રિત થતાં દરિયાના મોજાની થપાટથી સોમવારે પાણી બેટનાં રહેણાક વિસ્તારમાં ઘૂસ્યું હતું. પરિણામે કેટલાકે રાતભર ભર પાણીમાં કાઢી હતી. હાલ સમુદ્રમાં કરંટ જોવા મળતાં બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું હતું.