અમદાવાદ: રાજ્યની આઠ બઠકો ગઢડા, અબડાસા, મોરબી, લીમડી, ધારી, કરજણ, કપરાડા અને ડાંગ માટે જાહેર થયેલી પેટા ચૂંટણીથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે મેરેથોન બેઠકો બાદ સોમવારે સાંજે ૫ બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં જોકે પક્ષમાં ટિકિટ માટે અસંતોષ હોવાની ચર્ચા છે તો બીજી તરફ ભાજપમાં પક્ષ પલટો કરીને આવેલા ઉમેદવારોની પસંદગી - નાપસંદગી મામલે પક્ષમાં વિખવાદ હોવાનું ચર્ચાય છે.
ભાજપે સાત બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યાં
ગુજરાત ભાજપે પેટાચૂંટણીની આઠ પૈકી સાત બેઠકો માટે સત્તાવાર ઉમેદવારોની ઘોષણા સોમવારે કરી હતી, જેમાંથી પાંચ ઉમેદવારો તો ધારણા મુજબ છેલ્લી રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં ભળેલાં પૂર્વ ધારાસભ્યો જ છે.
એક માત્ર લીમડી બેઠક માટે જાહેરાત બાકી રખાઈ હતી જ્યાં પાર્ટીને પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણાને ટિકિટ આપવી હતી, પરંતુ કોંગ્રેસ જો ત્યાં ૧ લાખ જેટલા મતદારો ધરાવતા કોળી સમાજમાંથી ઉમેદવાર ઊભો રાખે તો અગાઉ ત્રણ વખત આ જ સમીકરણને કારણે હારેલા કિરીટસિંહને ફરી જીતવું મુશ્કેલ બને તેથી કોંગ્રેસના ઉમેદવારની રાહમાં લીમડીમાં ભાજપે જાહેરાત બાકી રાખી હતી.
કોળી સમાજના સોમા ગાંડા સામે ૨૦૧૩ અને ૨૦૧૭માં હારેલા કિરીટસિંહે ચૂંટણી કાર્યાલય ખોલી જોકે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાં બ્રિજેશ મેરજા, ધારીમાં જે.વી. કાકડિયા, કરજણમાં અક્ષય પટેલ તથા કપરાડામાં જીતુ ચૌધરીને ભાજપે ટિકિટ આપી છે. જ્યારે ગઢડામાં તથા ડાંગમાં છેલ્લે ચૂંટણી હારેલા અનુક્રમે પૂર્વ પ્રધાન આત્મારામ પરમાર તથા પૂર્વ ધારાસભ્ય વિજય પટેલને ભાજપે ફરી રિપીટ કર્યાં છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના જણાવ્યા પ્રમાણે, આ વખતે રેલી કાઢીને ફોર્મ ભરવા માટે જવા ઉપર પ્રતિબંધ હોઈ ઉમેદવાર સાથે ૪ કાર્યકરો જોડાશે.
કોંગ્રેસે પાંચ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યાં
આ બધા વચ્ચે કોંગ્રેસે પાંચ બેઠકો પર નામ જાહેર કર્યાં છે તેમાં અબડાસામાં ડો. શાંતિલાલ મેઘજીભાઈ સંઘાણી, મોરબીમાં જયંતીલાલ જયરાજભાઈ પટેલ, ધારીમાં સુરેશ એમ. કોટડિયા, ગઢડાની એસસી અનામત બેઠક પર મોહનભાઈ એસ. સોલંકી અને કરજણ બેઠક પર કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે. કોંગ્રેસે અબડાસા, મોરબી અને ધારી એમ ત્રણેય બેઠકો પર પાટીદાર ઉમેદવાર પર પસંદગી ઉતારી છે.
ત્રણ બેઠકો કપરાડા, ડાંગ અને લીમડી પર ઉમેદવારોનાં નામને લઈને કોંગ્રેસમાં ભારે ખેંચતાણ જામતાં નામો જાહેર કરાયા નથી.
અબડાસા બેઠક પર જેમને ટિકિટ અપાઈ છે તે ડો. સંઘાણી તબીબ છે. પાટીદાર સમાજમાંથી આવે છે. સ્થાનિક સ્તરે પક્ષ સાથે જોડાયેલા છે. તેમની પર આક્ષેપો થયા હતા કે, વર્ષ ૨૦૧૪ની પેટા ચૂંટણીમાં તેમણે ભાજપ માટે કામ કર્યું હતું.
મોરબી બેઠક પરના ઉમેદવાર જયંતીલાલ સ્થાનિક કોંગ્રેસના આગેવાન છે. સામાજિક-શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા છે.
અગાઉ એક વાર વિધાનસભાની ચૂંટણી હાર્યા છે. ધારી બેઠકના ઉમેદવાર સુરેશ કોટડિયા પૂર્વ કેન્દ્રીય પ્રધાન મનુભાઈ કોટડિયાના પુત્ર છે. આ બેઠકના ઉમેદવાર પ્રદેશ મંત્રી તરીકે રહી ચૂક્યા છે. અગાઉ યુથ કોંગ્રેસ સાથે પણ સંકળાયેલા હતા. ગઢડાની એસસી અનામત બેઠક પર જેમને ટિકિટ મળી છે તે મોહન સોલંકી સ્થાનિક દલિત આગેવાન છે અને વ્યવસાયે બિલ્ડર છે. કોંગ્રેસ સંગઠન સાથે સંકળાયેલા છે. કરજણની બેઠક પર કિરીટસિંહને ટિકિટ અપાઈ છે, જે પેટ્રોલ પંપ અને હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એનએસયુઆઈ સાથે અગાઉ સંકળાયેલા હતા.
અબડાસા, ધારી, ગઢડા, મોરબીમાં કોંગ્રેસમાં જ ખેંચતાણ
આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં સંભવિત ઉમેદવારોના નામ ચર્ચામાં આવતાં જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો હતો. ખાસ કરીને અબડાસા, મોરબી , ધારી અને ગઢડામાં ટિકિટ માટે આંતરિક ખેંચતાણ જામી હતી.
ગુજરાત કોંગ્રેસની યુવા નેતાગીરી સંગઠન પર કાબૂ મેળવી શકી નથી જેના કારણે અમિત ચાવડા-પરેશ ધાનાણીના વખતમાં ૨૦થી વધુ ધારાસભ્યો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. પેટા ચૂંટણી નજીક આવી ત્યારે કોંગ્રેસમાં ફરી જૂથવાદ વકર્યો હતો. અબડાસા બેઠક પર વિસનજ પાંચાણી, નવલસિંહ જાડેજા, પી. સી. ગઢવી, રમેશ પટેલનું નામ ચર્ચામાં હતું. એ પછી ભાજપના નેતા છબીલ પટેલના સંબંધીએ પણ ટિકિટ માટે લોબિંગ કર્યું હતું.
એટલું જ નહીં, વર્ષ ૨૦૧૪માં શક્તિસિંહ ગોહિલ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કર્યો હોવા છતાંય આ દાવેદારનું સંભવિત ઉમેદવારના નામ ચર્ચાતા કચ્છ કોંગ્રેસમાં આતંરકલહ વકર્યો હતો. આ જ પ્રમાણે, ધારી બેઠક પર ધારાસભ્ય વિરજી ઠુમરની પુત્રી જેની ઠુમરને ટિકિટ ન મળે તે માટે પ્રદેશના નેતાઓ જ મેદાને પડયાં હતા. સ્થાનિકો સુરેશ કોટડિયા માટે લોબિંગ કરી રહ્યાં હતા.
એવી ય ચર્ચા હતી કે, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ધારીના ઉમેદવારને લઇને પોતાની ઇચ્છા પૂર્ણ થાય તેવી જ જિદ કરી હતી. આ બેઠક પર ૨૩ દાવેદારોએ ટિકિટ માગી હતી. ગઢડામાં ય ૨૦ દાવેદારો ટિકિટ માટે પ્રદેશના નેતાઓ ઉપરાંત દિલ્હી આંટા ફેરા માર્યા હતા. ડાંગમાં પાંચ, મોરબીમાં પાંચ દાવેદારો ટિકિટની લાઇનમાં હતા.
કપરાડામાં છ દાવેદારોએ ટિકિટ માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જોકે, બે-ત્રણ દાવેદારોની પેનલ બનાવ્યા પછી કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ વધી. ટિકિટને લઇને પ્રદેશ નેતાઓ પણ પોતાના માનીતાઓ માટે લોબિંગ કરતા હોવાથી કકળાટ શરૂ થયો હતો.
ગુજરાતમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણી ત્રણ મહિના મોકૂફ
ગુજરાતમાં એક મોટા નિર્ણયમાં અમદાવાદ સહિત ૬ મહાનગરપાલિકાઓની, ૫૫ નગરપાલિકાઓની, ૩૧ જિલ્લા પંચાયતોની તેમજ ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ કોરોના મહામારીને કારણે ત્રણ મહિના મુલતવી રાખવાની રાજ્ય ચૂંટણી પંચે સોમવારે સાંજે જાહેરાત કરી હતી. પંચના સચિવ મહેશ જોષીએ જણાવ્યું હતું કે, આ બધી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની મુદત મોટેભાગે નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પૂર્ણ થતી હતી. હવે ફેબ્રુઆરી-૨૦૨૧ના બીજા પખવાડિયામાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ચૂંટણીઓ યોજવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ ત્રણ માસ મુલતવી રાખવા માટે બહાર પાડેલા જાહેરાનામામાં જણાવ્યું છે કે, રાજ્યની હાલની કોવિડ-૧૯ની સ્થિતિ અંગે ઉત્તરોત્તર સમીક્ષા કરાઈ છે અને આરોગ્ય વિભાગ તથા ગૃહવિભાગના મંતવ્યો ચૂંટણીઓ યોજવા વિરુદ્ધના હતા. આ ચૂંટણીઓ કુલ ૬૪૧૯ મતવિસ્તારોમાં અને ૪૭૪૨૪ બૂથો ઉપર યોજવાની થાય છે અને એમાં કુલ ૮૪૦૨ ઉમેદવારો લગભગ ૨૨ હજાર હરીફ ઉમેદવારોમાંથી ચૂંટવાના થાય. જેથી ઉમેદવારો, રાજકીય પક્ષો મતદારો સાથે વ્યક્તિગત સંપર્કોમાં આવવાના પ્રસંગો બને, ચૂંટણી યોજવાથી જાહેર જનતાનું, ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થનારા આશરે ૨.૮૦ લાખ અધિકારીઓ-કર્મચારીઓનું તેમજ ૧ લાખથી વધુ સુરક્ષાકર્મીઓનું આરોગ્ય પણ જોખમાય, મહામારીથી મુક્ત, ન્યાયી, ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજવાની સંભાવના નથી.