રાજ્યસભા ચૂંટણી જંગઃ ભાજપે ત્રણ બેઠકો કબ્જે કરી, કોંગ્રેસને ફાળે એક

Tuesday 23rd June 2020 06:00 EDT
 
જ્વલંત વિજયની ખુશાલીઃ (ડાબેથી) રમિલાબેન બારા, અભય ભારદ્વાજ, નરહરિ અમીન, મુખ્ય પ્રધાન વિજય રુપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ
 

ગાંધીનગરઃ રાજ્યસભાની ચાર બેઠકો માટે ગુજરાતમાં યોજાયેલા હાઇ વોલ્ટેજ ચૂંટણી જંગમાં ભાજપે ત્રણ બેઠકો કબ્જે કરી છે તો કોંગ્રેસને એક બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. ભાજપના ત્રણેય ઉમેદવારો અભય ભારદ્વાજ (૩૬ મત), રમીલાબેન બારા (૩૬ મત) અને નરહરી અમીન (૩૫.૯૮ મત) વિજેતા થયા હતા. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ (૩૬ મત)નો વિજય થયો હતો અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો (૩૧.૯૮ મત) પરાજય થયો હતો.
શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં કુલ ૧૭૨માંથી ૧૭૦ મત પડયા હતા. ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના મનસુખ વસાવા અને મહેશ વસાવાએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના કાંધલ જાડેજાએ પક્ષના વ્હિપનો અનાદર કરીને ભાજપને મત આપ્યો હતો. કાંધલ જાડેજાએ ભાજપની તરફેણમાં મત નાખ્યો હતો. મતના ગણિતોને જોતા જણાય છે કે કોન્ગ્રેસે જે બે મત માટે વિરોધ નોંધાવ્યો હતો તે બે મત ગણતરીમાં ન લેવાયા હોત તો પણ ભાજપનો વિજય નિશ્ચિત જ હતો. આ જ રીતે વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે મત કોન્ગ્રેસની તરફેણમાં પણ પડયા હોત તો પણ ભાજપના ત્રણેય ઉમેદવારનો વિજય નિશ્ચિત જ હતો.

ભાજપના ભાણિયાઃ અભય ભારદ્વાજ

રાજકોટના વકીલ અભય ભારદ્વાજ ૩૬ મત મેળવીને વિજયી થયા છે. સ્વ. ચીમનભાઈ શુક્લના ભાણેજ હોવાથી ભાજપના ભાણિયા તરીકે જાણીતા અભય ભારદ્વાજ દસકાઓથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હોવાથી ભાજપના રાજ્યસભાના સભ્ય તરીકે નરેન્દ્ર મોદીના માનીતા ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા હતા. જોકે તેમણે ભાજપના લીગલ સેલમાં સેવા આપી છે તો નેશનલ લો કમિશનના સભ્ય તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે તેમણે સેવા આપેલી છે. તેઓ યુવા ભાજપમાં પણ સક્રિય રહ્યા હતા. તેમણે પરશુરામ યુવા સંસ્થાની સ્થાપના કરી છે અને રાજકોટમાં અનેક જાહેર સભાઓ તેમણે તેમની વાકછટાથી ગજવી છે. તેમણે ભાજપના સ્ટાર વક્તા પ્રમોદ મહાજન સાથે પણ કામ કર્યું છે.
વિપક્ષના દરેક પ્રહારનો વળતો કડક જવાબ આપવાની તેમની અજોડ ક્ષમતા છે. ૧૯૯૫ની સાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટમાં અપક્ષ તરીકે તેઓ ચૂંટણી લડયા હતા.

મહિલા પ્રતિનિધિત્વઃ રમીલા બારા

અભય ભારદ્વાજની માફક જ ૩૬ મત સાથે વિજયી થયેલા સાબરકાંઠાના આદિવાસી પરિવારમાં જન્મેલા રમીલા બારાએ વિદ્યાનગરમાં શાળાના શિક્ષક તરીકે કારકીર્દી શરૂ કરી હતી. ૨૦૦૪માં ખેડબ્રહ્માની બેઠક પરથી તેઓ ભાજપના ઉમેદવાર તરીકે પેટા-ચૂંટણી લડયા હતા. તેમણે ગુજરાત ભાજપના વાઈસ પ્રેસિડન્ટ તરીકે ત્રણ મુદત સુધી સેવા આપી છે. તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ગાર્ડિયન તરીકે પણ સક્રિય રહ્યા છે. તેમણે ટ્રાયબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે પણ સેવા આપી છે. ૨૦૧૭માં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ખેડબ્રહ્માની બેઠક પરથી ચૂંટણી લડયા હતા.

કુશળ વહીવટકર્તાઃ નરહરિ અમીન

ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન પણ વિજયી સરસાઈ જાળવી રાખવામાં સફળ થયા હતા. નરહરિ અમીન કોલેજમાં આવ્યા ત્યારથી જ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને સિન્ડિકેટના સભ્ય તરીકે ૧૯૭૭થી સક્રિય થઈ ગયા હતા. આ કામગીરી તેમણ ૩૮થી વધુ વર્ષ સુધી નિભાવી હતી. ભાજપના ત્રીજા વિજયી ઉમેદવાર નરહરી અમીને રાજ્યસભાના સભ્ય બનતા પહેલા ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન તરીકે એપ્રિલ ૧૯૯૪થી માર્ચ ૧૯૯૫ સુધી સેવા આપી છે. નારણપુરાના મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે તેમની કારકીર્દિનો આરંભ થયો હતો. અમદાવાદના સાબરમતી મતવિસ્તારમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા નરહરિ અમીને ૧૯૯૦ના માર્ચથી નવ મહિના જેટલા સમયગાળા માટે તેમણે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન, યુવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના રાજ્યપ્રધાન તરીકે તથા ૧૯૯૦થી ૧૯૯૪ દરમિયાન કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપી છે. નવેમ્બર ૨૦૧૩થી માર્ચ ૨૦૨૦ સુધી તેમણે ગુજરાત આયોજન પંચના વાઈસ ચેરમેન તરીકે સેવા આપી હતી. ગુજરાત ક્રિકેટ એસોસિયેસનની કારોબારીના સભ્ય બનવા ઉપરાંત તેમણે સહકારી ક્ષેત્રની અનેક
સંસ્થાઓમાં પણ પ્રમુખ, ટ્રસ્ટી અને ચેરમેન તરીકે સેવા આપી છે.

તેજતર્રાર કોંગ્રેસીઃ શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ ૩૬ મત મેળવીને વિજયી થયા છે. અત્યારે બિહારના પ્રભારી તરીકે અને દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસનો ધબડકો થયો તે પછી દિલ્હીનો ચાર્જ સંભાળી રહેલા શક્તિસિંહ ગોહિલને રાજ્યસભાના સભ્ય તરીકે લેવાની ભલામણ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ચેરમેન સોનિયા ગાંધીએ કરી હતી. ગુજરાતના આરોગ્ય પ્રધાન ઉપરાંત નાણાં-શિક્ષણ અને નર્મદા વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પણ તેમણે સેવા આપેલી છે. ૨૦૦૭-૧૨ના ગાળામાં તેમણે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ સેવા આપી હતી.

કોંગ્રેસે વાંધો લીધો, ચૂંટણી પંચે ફગાવ્યો

રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકો માટે ૧૯ જૂને યોજાયેલી ચૂંટણીમાં ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા મત આપી શકે નહિ તેવો વાંધો કોંગ્રેસે ઉઠાવ્યો હતો. આ જ રીતે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સ્ટ્રેચરમાં વોટ આપવા માટે આવ્યા તે મુદ્દે પણ કોંગ્રેસના ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આ બંનેના મત અમાન્ય રાખવાની માગણી કરી હતી. તેથી રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન સાંજે ચાર વાગ્યે પૂરું થયા બાદ રાત્રે સાડા નવ વાગ્યા સુધી મતગણતરી ચાલુ થઈ શકી નહોતી.
જોકે કોંગ્રેસના ઉમેદવારાએ નોંધાવેલો વાંધો ટક્યો નહોતો કારણ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના ધારાસભ્ય પદને ગેરકાયદે ઠરાવતા હાઈ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી વ્હિલચેરમાં મત આપવા આવ્યા હતા. તેમણે મત આપ્યો ત્યારે તેમની પાછળ એક માણસ ઊભો હતો તેથી તેમનો મત પણ ગેરકાયદે ઠેરવવાની માગણી કોંગ્રેસના ચૂંટણી લડતા ઉમેદવારોએ કરી હતી.
કોંગ્રેસ તરફથી ઊઠાવાયેલા આ વાંધા ગુજરાતના રાજ્યસભાની ચૂંટણી માટેના ઓબ્ઝર્વર રાઘવેન્દ્ર ચંદ્રાને બહુ વજુદવાળા જણાયા નહોતા. તેમ છતાંય દિલ્હી ચૂંટણી કમિશનરની કચેરીને ફરિયાદની વિગતો મોકલી આપી તેમના નિર્ણયની રાહ જોવાનું પસંદ કર્યું હતું. આ અભિપ્રાય આવવામાં વિલંબ થયો હતો. તેથી મત ગણતરી અંદાજે સવા નવ વાગ્યે ચાલુ થઈ શકી હતી. અન્યથા સાંજે પાંચ વાગ્યે મતગણતરી ચાલુ થવાની હતી.

શંકર ચૌધરીએ મત આપ્યો!

કોંગ્રેસના આઠ ધારાસભ્યોના રાજીનામા પછી ભાજપે એવો દાવો કર્યો હતો કે, કોંગ્રેસમાંથી ક્રોસવોટિંગ થશે. પણ ભાજપના ઘરમાં જ ગાબડુ પડતાં અટક્યું હતું. ભાજપના બે ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે તેવી ગંધ આવતાં ભાજપના નેતાઓના તો જાણે હોશકોશ ઉડી ગયા હતાં. મજાની વાત તો એ હતી કે, મતદાન વખતે જ રાજકીય ડ્રામા સર્જાયો હતો. કેમ કે, કોંગ્રેસના સંપર્કમાં હોવાની જેમના પર શંકા હતી તે જ માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અચાનક જ બિમાર પડયા હતાં જેથી તેમને એમ્બ્યુલન્સમાં મતદાન મથકે લવાયા હતાં. એટલું જ નહીં, પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ કેસરસિંહ વતી પ્રોકસી મતદાન કર્યુ હતું. સચિવાલયમાં ચર્ચા જામી હતી કે, ભાજપના ધારાસભ્ય ખરેખર બિમાર
થયાં કે પછી ક્રોસવોટિંગના ડરથી રાજકીય ડ્રામા સર્જાયો છે.

ક્રોસવોટિંગના દાવપેચ

રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે વ્યૂહરચના ઘડી કાઢી હતી. છેલ્લી ઘડી સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એવો દાવો કર્યો હતો કે, આંતરિક જૂથબંધીને કારણે કોંગ્રેસમાં ક્રોસવોટિંગ થશે. વાસ્તવમાં કોંગ્રેસે પણ ભાજપના ધારાસભ્યોની નારાજગીનો રાજકીય લાભ લેવા ખેલ નાંખ્યો હતો. ભાજપના દક્ષિણ ગુજરાતના બે ધારાસભ્યોનો કોંગ્રેસે સંપર્ક કર્યો હતો. એટલું જ નહીં, મતદાનના દિવસે ક્રોસવોટિંગ કરવા નક્કી કરાયુ હતું. પણ આ વાતની ભાજપને ગંધ આવી ગઇ હતી જેથી ભાજપના નેતાગીરીના હોશકોશ ઉડી ગયા હતાં. પછી એટલી હદે કાળજી લેવાઇ હતી કે, એમએલએ ક્વાર્ટસમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પ્રધાનથી માંડીને નેતાઓને ધારાસભ્યો સાચવવા જવાબદારી સોંપવી પડી હતી.

જાડેજાએ પોતાનું ધાર્યું જ કર્યું

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સાથી પક્ષ એનસીપીનો મત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું પણ તેમાં સફળતા મળી ન હતી. એનસીપીએ વ્હિપ આપ્યો હોવા છતાંય ધારાસભ્ય કાંધલ જાડેજાને પક્ષના આદેશનો અનાદર કરીને ભાજપને મત આપ્યો હતો. રાજ્યસભાની ત્રણેય બેઠકો જીતવા ભાજપે કોઇ કસર છોડી નહોતી. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાની જવાબદારી પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાને સોંપાઇ હતી. મતદાનના આગલા દિવસે ભાજપની બેઠકમાં હાજરી આપ્યા બાદ કાંધલ જાડેજા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના પ્રધાન નિવાસસ્થાને જ રોકાયા હતાં. તેમની કારમાં જ કાંધલ જાડેજા મતદાન કરવા વિધાનસભા પહોંચ્યા હતાં. એનસીપીએ આપેલા વ્હિપનો અનાદર કરીને કાંધલ જાડેજાએ ભાજપને મત આપ્યો હતો.
આ તરફ, જાણકારોનું કહેવુ છેકે, ભાજપને મત આપ્યો હોવા છતાં પણ એનસીપી કાંધલ જાડેજા સામે કોઇ કાર્યવાહી કરી શકશે નહીં કેમ કે, કાયદાની છટકબારી છે. પક્ષનો ઉમેદવાર ચૂંટણી લડતો ન હોય તો મતદાર તરીકે ધારાસભ્ય પસંદગીના ઉમેદવારને મત આપી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter