ગાંધીનગરઃ રાજ્યસભાની ગુજરાતમાં ચાર બેઠક પરનું પરિણામ જાહેર થાય તે પહેલાં જ સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ ગુજરાત ભાજપ અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે સમાધાન થતાં છેવટે ચાર બેઠકો પર ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. હવે ૨૩મી માર્ચે યોજાનારું મતદાન થશે નહીં. રાજ્યસભાની ચાર બેઠક પર ભાજપના બે ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, કોંગ્રેસના બે ઉમેદવાર નારણ રાઠવા અને અમિ યાજ્ઞિક બિનહરીફ જાહેર થઇ ગયા છે. જો કે બિનહરીફ થાય તે પહેલા જ વિધાનસભા પરિસરમાં જ બંને પક્ષ વચ્ચે બેઠક થઇ હતી. રાજ્યસભાના મુદ્દે યોજાયેલી બેઠકમાં પહેલા શૈલેષ પરમાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી વચ્ચે બેઠક મળી હતી.