રૂ. 83,500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ: વતન પર વહાલ વરસાવતા વડાપ્રધાન

Wednesday 28th May 2025 04:55 EDT
 
 

અમદાવાદઃ ‘ઓપરેશન સિંદૂર’ બાદ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાને વડોદરા, ભુજ અને અમદાવાદમાં ભવ્ય રોડ-શો યોજીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તો દાહોદથી રૂ. 24 હજાર કરોડના અને ભુજથી રૂ. 54 હજાર કરોડના વિકાસ કામોનાં ખાતમુહૂર્ત–લોકાર્પણ કર્યાં હતાં.
વડાપ્રધાન મોદીએ સોમવારે દાહોદમાં દેશના હાઇસ્પીડ 9,000 HP-L D9 લોકોમોટિવને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું. આ સાથે જ તેમણે દાહોદમાં રૂ. 24,000 કરોડ, ભુજમાં 54,000 કરોડ અને ગાંધીનગરમાં 5500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું.
કચ્છના લોકો સરહદના સંત્રી
ભુજના ટાઇમ સ્ક્વેર સામેના મેદાનમાં ભારત માતા કી જયના ઘોષ વચ્ચે જનમેદનીને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘કિં આંયો કચ્છી’ શબ્દોથી કચ્છીમાડુઓના હાલચાલ પૂછયા હતા. કચ્છીમાડુઓને સ્થાનિક મીઠી બોલીમાં આવકાર આપીને જણાવ્યું હતું કે, કચ્છના લોકો સરહદના સંત્રીઓ છે. કચ્છ પ્રત્યે અનન્ય સ્નેહનો સાક્ષાત્કાર કરતાં પોતાના સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને કચ્છી સપૂત ક્રાંતિગુરુ શ્રી શ્યામજી કૃષ્ણવર્માને નમન કરીને વડાપ્રધાને ઉમેર્યું કે કચ્છની દેશદેવી મા આશાપુરાના આશીર્વાદથી તમામ ઇચ્છાઓ પૂર્ણ થઈ છે. આતંકવાદ સામે અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે, ભારતની લડાઈ સરહદ પારના આતંકવાદ સામે છે. ઓપરેશન સિંદૂરને તેમણે માનવતાનું રક્ષણ અને આતંકવાદનું અંત લાવવાનું મિશન ગણાવ્યું હતું.
ગ્રીન એનર્જીનું સૌથી મોટું કેન્દ્ર
કચ્છ દુનિયામાં ગ્રીન એનર્જીનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું હોવાનું જણાવી વડાપ્રધાને કહ્યું હતું કે કચ્છ સહિત સમગ્ર દેશના રિન્યૂએબલ ઊર્જાના પ્રોજેક્ટ્સ દુનિયાની ગ્રીન ઈકોનોમી બ્લૂમ કરશે. આશા અને નિરંતર પરિશ્રમથી કોઈપણ પરિસ્થિતિ બદલાઈ શકે તે સાબિત કરતા કચ્છ વેપાર અને પર્યટનનું મોટું કેન્દ્ર બન્યું છે. સીફૂડથી લઈ પર્યટન અને વેપાર સુધી, ભારત દરિયાકાંઠાના પ્રદેશોમાં એક નવી ઈકોસિસ્ટમ વિકસાવી રહ્યું છે. વડાપ્રધાને તાજેતરનાં વિકાસકાર્યોને પગલે આગામી વર્ષોમાં થનારી કચ્છની સર્વાંગી પ્રગતિનો ચિતાર પણ રજૂ કર્યો હતો.
પાક. સેના આતંકને ઉત્તેજન આપે છે
11 વર્ષ અગાઉ 26મી મેના રોજ વડાપ્રધાન તરીકે પોતે લીધેલા શપથનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતની સેવાથી દેશની સેવાની આ યાત્રાએ 11 વર્ષ પૂર્ણ કર્યા છે. 11 વર્ષ અગાઉ શપથ લીધા ત્યારે દેશ દુનિયાની 11મી અર્થવ્યવસ્થા હતો. આજે 11 વર્ષ પછી ભારત દુનિયાની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. તેમણે પાકિસ્તાનના નાગરિકોને કચ્છની સરહદ ઉપરથી સંદેશો આપતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકાર અને સેના આતંકવાદીઓને પ્રોત્સાહન અને સહકાર આપવાનું કામ કરે છે. તેમણે પાકિસ્તાનના નાગરિકોએ તેમના દેશ અને બાળકોના સુવર્ણ ભવિષ્ય માટે આ વાત અને પરિસ્થિતિની વાસ્તવિકતા ઓળખવા જણાવ્યું હતું. પાકિસ્તાનની સરકાર અને સૈન્ય આતંકવાદનો ઉપયોગ આવક ઉત્પન્ન કરવાના સાધન તરીકે કરતા તેને સમર્થન આપે છે. તેમણે પાકિસ્તાની નાગરિકોને આ અંગે ચિંતન કરવા હાકલ કરી હતી.
ભારતના રેલ ઉત્પાદનો વૈશ્વિક બજારમાં
સોમવારે દાહોદમાં નિર્મિત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સપાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 આધુનિક રેલવે એન્જિન લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા બાદ જંગી મેદનીવાળી જાહેર સભાને સંબોધતાં વડાપ્રધાને કહ્યું હતું કે દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી એ ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું પ્રતીક બની છે. આજે ભારતના રેલવે ઉત્પાદનોએ વૈશ્વિક બજારમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 26 મે 2014ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા તે દિવસને યાદ કરીને તેમણે પોતાના સંબોધનનો પ્રારંભ કર્યો હતો અને ગુજરાતના લોકોના અદ્ભુત સમર્થન અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. દાહોદમાં એક લાખ જેટલી જનમેદનીને સબંધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્વભેર જણાવ્યું કે ગુજરાતે રેલવે નેટવર્કનું 100 ટકા વીજળીકરણ હાંસલ કર્યું છે અને હવે ભારત રેલવે સાધનોના નિકાસમાં અગ્રેસર બન્યો છે.
દાહોદ સમૃદ્ધ બન્યું તેનો આનંદ
મોદીએ જણાવ્યું કે, આજે ભારતમાંથી સ્માર્ટફોનથી લઈને કાર, રમકડાં, સેના માટેના શસ્ત્રો, દવાઓ જેવી અનેક વસ્તુઓની નિકાસ થઇ રહી છે. એટલું જ નહીં, આજે ભારત રેલવે, મેટ્રો અને એ માટેની ટેક્નોલોજી પણ પોતે જ બનાવે છે અને દુનિયામાં નિકાસ કરે છે. દાહોદ એનું જીવંત ઉદાહરણ છે. તેમણે ઉમેર્યું હતું કે મારા માટે તો આદિવાસી સમાજ એ મારી સેવા યાત્રાનો મજબૂત આધાર રહ્યું છે. દાહોદથી લઇને સમગ્ર પૂર્વ ગુજરાતમાં મેં સેવાકાર્ય કર્યું છે. આજે દાહોદ સમૃદ્ધ બન્યું છે એ જોઈને મને ગર્વ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter