અમદાવાદઃ વસ્ત્રાપુરમાં આવેલી સાઈ ઈન્ફો સિસ્ટમ લિમિટેડ તથા તેની સહભાગીઓએ ૧૧ જેટલી બેંકોમાંથી રૂ. ૮૬૭.૪૩ કરોડનું કૌભાંડ આચર્યાનું જાહેર થયું છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુનીલ કક્કડ અને તેના સાથીઓ સમીર કક્કડ, રાજીવ ગુપ્તા સહિત ૧૨ જણા સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ કરી છે. બીજી તરફ સુનીલ કકક્ડની જામીન અરજી અમદાવાદ ગ્રામ્યના ડિસ્ટ્રીકટ જજ કે. બી. ગુજરાતીએ ૧૬મી નવેમ્બરે ફગાવી છે. કોર્ટે નોંધ્યું છે કે, આરોપીએ જુદી જુદી બેંકોમાંથી લોન્સ મળવીને પબ્લિકના નાણાં ડુબાડ્યાં છે. આવા ગંભીર આર્થિક ગુનાસર તપાસ ચાલે છે તેથી જામીન મળે નહીં. આ ગુનામાં પકડાયેલા બીએસએનએલના પૂર્વ અધિકારી રાજીવ ગુપ્તાની જામીન અરજી અનામત રહી. ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સુનીલ કક્કડની રૂ. ૫૬ કરોડની ૩૭ અસ્કામતો ઈડીએ ટાંચમાં લીધી છે. ઈડીએ એસઆઈએસના ચિફ મેનેજિંગ ડિરેક્ટર સુનીલ કક્કડની રૂ. ૮૬૭.૪૩ કરોડનું કૌભાંડ આચરવા બદલ અગાઉ ધરપકડ કરી હતી.
દરમિયાનમાં સુનીલ કક્કડે જામીન મેળવવા અરજી કરી હતી. જેમાં ઈડીના ખાસ એડવોકેટ રાજેશ કાનાણીએ કોર્ટને જણાવ્યું કે, એસઆઈએસના ચિફ મેનેજિંગ ડિરેકટર સુનીલ કક્કડે તેની કંપનીઓ દ્વારા બેંકો પાસેથી છેતરપિંડી દ્વારા ભેગી કરેલી રૂ. ૮૬૭.૪૩ કરોડની રકમ સગેવગે કરી દીધી હતી. તેથી આરોપીને જામીન મળવા જોઈએ નહીં. એ પછી કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.