અમદાવાદઃ ચિત્રલેખા સામયિકના સંસ્થાપક સ્વ. વજુભાઈ કોટકની જન્મશતાબ્દી નિમિત્તે તેમની શ્રેષ્ઠ સર્જકતાની ચૂંટેલી સ્મરણાંજલી સમાન પુસ્તક ‘વજુ કોટકના શ્રેષ્ઠ સ્મરણો’નું ૩ જૂને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે વિમોચન કર્યું હતું.
આનંદીબહેને આ પ્રસંગે ગુજરાતી ભાષામાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરની સમકક્ષ મનાતા અને બહુમુખી પ્રતિભાના સ્વામી વજુભાઈની સર્જનયાત્રાને બિરદાવી હતી. ચિત્રલેખાની મજલને સફળતાપૂર્વક આપળ ધપાવવા બદલ માધુરીબેન કોટક અને સમગ્ર ટીમને બિરદાવતા કહ્યું હતું કે, સ્વ. વજુભાઈ સાચા અર્થમાં દીર્ઘદૃષ્ટિ ધરાવતા તંત્રી હતા, કે જેમણે પારંપરિક સામયિક પ્રસ્તુત કરવાનો વિચાર આજથી ૬૫ વર્ષ પહેલા કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજ્યનો વિકાસ ફકત આર્થિક દૃષ્ટિએ ન મૂલવવો જોઈએ, પરંતુ સમાજનો સર્વાંગી વિકાસ અનિવાર્ય છે. આ દૃષ્ટિકોણથી પ્રિયદર્શીમાં પ્રસિદ્ધ થતી નારી સશક્તિકરણની નેત્રદીપક કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી.
વજુભાઈ રાજકોટમાં જન્મ્યા હતા. માત્ર ૪૪ વર્ષે અવસાન પામનાર આ સર્જકે ૨૬ વર્ષની લેખનયાત્રામાં ૧૯ પુસ્તકો દ્વારા ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી હતી. આ પુસ્તકો આજે પણ બેસ્ટ સેલર છે. વજુભાઈની રેન્જ સવ્યસાચીની માફક હાસ્ય લેખોથી માંડીને જીવનની ગંભીર, ગહન ફિલસૂફી તક સિદ્ધહસ્ત લેખકની માફક પુરવાર થઈ હતી. લેખન ઉપરાંત ખિલૌના, કસૌટી, શતરંજ, મંગળફેરા સહિત અનેક ફિલ્મોનું દિગ્દર્શન અને નિર્માણમાં પણ વજુભાઈનું યોગદાન રહ્યું હતું. ‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક ઉપરાંત પ્રસિધ્ધ હાસ્યલેખક તારક મહેતા મંચ પર ઉપસ્થિત હતા. પૂર્વ મુખ્યસચિવ પી.કે. લહેરી અતિથિવિશેષપદે હતાં. મનન કોટકે આમંત્રિતોનું સ્વાગત કર્યું હતું. ‘વજુ કોટકના શ્રેષ્ઠ સ્મરણો’ પુસ્તકના ચૂંટેલા અંશનું વાચન અભિનેત્રી આરતી પટેલ અને અભિનેતા નિસર્ગ ત્રિવેદીએ કર્યું હતું. સમારોહના અંતે આભારવિધી ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ તેમ જ સમગ્ર કાર્યક્રમનું સંચાલન લેખિકા કાજલ ઓઝા વૈદ્યે કર્યું હતું. આ પ્રસંગે શહેરના જાણીતા સાહિત્યકારો અને અગ્રણીઓ ઉપસ્થિત હતા.