અમદાવાદના ઘોડાસરમાં સ્વામિનારાયણ સ્કૂલનું બિલ્ડિંગ ધરાશયી થયું તેના કાટમાળ નીચે ૩૨ માસૂમ બાળકો દબાઈ ગયાં હતાં, આ કરુણ ઘટનાના કેસમાં ફરિયાદીની જુબાની થઈ શકી છે, તો કેસ ચાલશે કયારે અને ચૂકાદો આવશે કયારે.
ભૂકંપ બાદ પીડિતોને ઝડપથી ન્યાય મળે તે માટે સરકારે ત્યારે વિવિધ કોર્ટની રચના કરવાની જાહેરાત કરી હતી ત્યારે સરકારે ખાતરી આપી હતી કે એક વર્ષની અંદર ભૂકંપના તમામ કેસોનો નીવેડો લાવવામાં આવશે. ૧૪ વર્ષ પછી સ્થિતિ ઠેરની ઠેર છે. આ કેસો માટે ખાસ સરકારી વકીલની નિમણૂક થઇ હતી. છ સરકારી વકીલો બદલાયા છતાં અમદાવાદના ૬૧ પૈકીના માત્ર બે કેસોનો જ ચુકાદો આવ્યો છે, ૫૯ કેસો હજુ પડતર છે. આ કેસો નહીં ચાલવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે, તે પૈકી છેલ્લાં ત્રણ વર્ષથી નેશનલ કાઉન્સિલ ફોર સિમેન્ટ એન્ડ બિલ્ડિંગ મટીરિયલ્સના અધિકારીઓ જુબાની આપવા આવતા નહોતા જેને લીધે કેસો પડી રહ્યા હતા. તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ફોર સિમેન્ટ એન્ડ બિલ્ડિંગ મટીરિયલ્સના અમિત ત્રિવેદીએ કચ્છમાં જુબાની આપીને અમદાવાદની મેટ્રો. કોર્ટમાં જુબાની આપી ગયા હતા, જેમાં મોટાભાગની પોલીસની ખામીઓ બહાર આવી હતી. કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગના સંખ્યાબંધ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કોઈ પુરાવા ન મળતાં તેમને બિનતહોમત છોડી દેવાની કાર્યવાહી કાનૂની ગૂંચમાં પડતર છે.