ગાંધીનગરઃ કોરોના મહામારીના વધતા પ્રસાર છતાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજવા મમતે ચડેલી રાજ્ય સરકારે આખરે સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૨૪ કલાકમાં ૪૦૦૦નો આંક વટાવી ગયો છે તે જ દિવસે આ નિર્ણય જાહેર થયો છે તે નોંધનીય છે. એક અહેવાલ અનુસાર, વડા પ્રધાન કાર્યાલયની સુચનાના પગલે સમિટ મોકૂફીનો આ નિર્ણય લેવાયો છે. આ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આવતા સોમવાર - ૧૦ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના હતા. ઉદ્ઘાટન સત્રમાં દેશના ટોચના કોર્પોરેટ હાઉસના સુકાનીઓથી માંડીને અનેક દેશોના વડાઓ ઉપસ્થિત રહેવાના હતા.