અમદાવાદઃ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭ની તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૧૨ કન્ટ્રી પાર્ટનર દેશોના ૨૦ હજારથી વધુ આમંત્રિતો ભાગ લેશે. આ સમિટ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હોમટાઉન વડનગરનું ભરપૂર માર્કેટિંગ થશે. સૂત્રોના મતે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ-વિદેશની જાણીતી કંપનીઓના સીઈઓ, ડેલિગેટ્સ, રાજદૂતો, નોબલ પ્રાઈઝ વિજેતા સહિત આમંત્રિતો આવવાના છે ત્યારે તેઓ ગુજરાત દર્શન કરી તે માટે ટૂંકા પ્રવાસનું આયોજન કરાયું છે. વિદેશી મહેમાનોને મોદી વિલેજ વડનગર લઈ જવાશે જ્યાં વડા પ્રધાનના બચપણની યાદો વિશે માહિતગાર કરાશે. મોદીએ જ્યાં અભ્યાસ કર્યો તે શાળાથી માંડીને ચાની કિટલી, નિવાસસ્થાન સહિતના સ્થળો જોવા લઈ જવાશે.
વડનગરની સાથે સાથે મોઢેરાના સૂર્યમંદિર, પાટણની રાણકીવાવ પણ જોવા મહેમાનોને લઈ જવામાં આવશે. અમદાવાદમાં પણ અડાલજની વાવ અને અક્ષરધામ મંદિરની મુલાકાત આ પ્રવાસનો હિસ્સો બને તેવો વિચાર થઈ રહ્યો છે.


