અમદાવાદ: ગુજરાતની બેઠક પરથી રાજ્યસભામાં ચૂંટાયેલા વિદેશ પ્રધાન એસ. જયશંકરની જીતને પડકારતી અપીલમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. આ કેસની વધુ સુનાવણી નવમી ડિસેમ્બરે ઉપર મુલતવી રાખી છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ. બોબડે તથા જસ્ટિસ વી. રામસુબ્રમણ્યાની ખંડપીઠ સમક્ષ પરાજિત ઉમેદવાર અરજદાર ગૌરવ પંડ્યા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે સામાન્ય કે અન્ય કારણોસર ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની પેટા-ચૂંટણી માટે બે અલગ અલગ નોટિફિકેશન જારી કરી શકાય નહીં. અલગ નોટિફિકેશન જારી કરવાનો ચૂંટણી પંચનો નિર્ણય ગેરકાયદે હોવાથી આ ચૂંટણી રદબાતલ થવી જોઈએ. આ દલીલને આધારે કોર્ટ નોટિસો પાઠવી જવાબ માંગ્યો છે.
વર્તમાન કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાતા તેમની રાજ્યસભાની બેઠકો ખાલી પડતા. પાંચમી જુલાઈએ રાજ્યસભાની પેટા-ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના એસ. જયશંકર અને જુગલ ઠાકોરનો વિજય થયો હતો. રાજ્યસભાની આ ચૂંટણી અલગ અલગ નોટિફિકેશનથી અલગ અલગ મતદાન દ્વારા યોજાઈ હતી. જે ગેરકાયદે ગણાવીને ચૂંટણી રદ કરવાની માગણી કરતી પીટીશન ગુજરાત હાઈ કોર્ટે ફગાવી દેતા આ કેસ અપીલ રૂપે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.