અમદાવાદઃ મહાપાલિકાએ ૧૮મી માર્ચે જાહેર કર્યું હતું કે, શહેરની સ્પોર્ટ્સ કલબમાં કોરોન્ટાઈન માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. અહીં ૬૦ બેડની હોસ્પિટલ કાર્યરત રહેશે. અહીં જ્યાં સુધી આ હોસ્પિટલ રહેશે ત્યાં સુધી સ્પોર્ટ્સ ક્લબના સભ્યોની એન્ટ્રી પણ બંધ કરવાની જાહેરાત કરાઈ હતી. વિદેશથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરતી દરેક વ્યક્તિને ૨૪ કલાક સુધી મ્યુનિ. હેલ્થ વિભાગ હોસ્પિટલ કે અલાયદા સ્થળે ઊભા કરાયેલા કોરોન્ટાઈન વોર્ડમાં દાખલ કરવાની વ્યવસ્થાની ઘોષણા કરાઈ હતી. જેના માટે સ્પોર્ટ્સ કલબમાં આ વ્યવસ્થા ઊભી કરાઇ છે. અહીં દર્દીઓ માટે એન્ટરેટઇનમેન્ટની પણ સુવિધા હશે તેવું જણાવાયું છે. અમદાવાદની રાજપથ અને કર્ણાવતી ક્લબને સ્ટેન્ડ ટુ પણ કરાઈ હોવાની ઘોષણા થઈ હતી. આ માટે બંને ક્લબના સંચાલકોએ પણ તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે. નિકોલની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં પણ આઇસોલેશન વોર્ડ તૈયાર કરીને ૫૦ આઇસોલેશન બેડ બનાવાયા છે.
વિદેશથી આવતા તમામને ૨૪ કલાક
અમદાવાદમાં રોકાવું પડશે
ભારત સરકારે નવા જારી કરાયેલા જાહેરનામાની ૧૮મી માર્ચે કરાયેલી ઘોષણા પ્રમાણે ૧૫થી વધુ દેશમાંથી પરત ફરનારા ગુજરાતીને હવે ૨૪ કલાક અમદાવાદમાં રોકાવું પડશે. રાજ્યભરના કોઇપણ શહેરમાંથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા પછી તેમને ૨૪ કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે. ત્યારબાદ ડોક્ટરના રિપોર્ટ પછી જ તેમને તેમના નિયત સ્થળે જવા દેવા મંજૂરી અપાશે. આ સ્થિતિને પહોંચી વળવા મ્યુનિ.એ ઝોન પ્રમાણે આઇસોલેશન વોર્ડ ઊભા પણ કર્યાં હોવાનું જાહેર કર્યું હતું.
ઓઢવમાં રહેતા સચિન પટેલ ૧૪મી માર્ચે સિંગાપોરથી આવ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર કોરોના વાઇરસ સ્ક્રીનિંગ બાદ તેમને ૧૪ દિવસ સુધી હોમ કોરોન્ટાઈન માટે આદેશો અપાયા હતા, પરંતુ ૨૦મીએ તેઓ મરણ પ્રસંગે બેસણામાં ગયા હતા. ઓઢવ પોલીસ સ્ટેશનમાં સરકારના કોરોન્ટાઈન જાહેર નામા ભંગ બદલ તેમની સામે ગુનો નોધાયો હતો. જેથી પોલીસે તેમને પકડીને નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં કોરોન્ટાઈન સેન્ટરમાં ભરતી કરાવી દીધા હતા.
રાજ્યમાં ઓબ્ઝર્વેશનમાં રહેનારા પ્રવાસીઓને હાથે સિક્કા
વિદેશથી આવતાં પ્રવાસીઓને કોરોન્ટાઈનની વ્યવસ્થા કરાઈ રહી છે ત્યારે કોરોન્ટાઈન કરાયેલાના હાથે સિક્કો મારવામાં આવે છે. વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ૧૯મી માર્ચે જણાવ્યું કે, હવે વિદેશથી આવતાં પ્રવાસીઓએ ફરજિયાતપણે ૨૪ કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રહેવું પડશે. એટલું જ નહીં ત્યારબાદ પ્રવાસીને ઘરમાં જ ૧૪ દિવસ સુધી આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રેહવું પડશે. આ સમયગાળામાં પ્રવાસીઓના હાથે ઓળખ ઊભી થાય તે માટે સિક્કો મારવામાં આવશે જેથી કોઈપણ વ્યક્તિને ખબર પડે કે આ વ્યક્તિ ઓબ્ઝર્વેશન હેઠળ છે.