વિદેશથી આવનારાઓને પોતાના જિલ્લામાં ક્વોરેન્ટાઈનની રાહત મળી

Monday 29th June 2020 15:05 EDT
 
 

ગાંધીનગરઃ વિદેશોમાંથી આવી રહેલા ગુજરાતીઓને પોતાના જ જિલ્લામાં ૭ દિવસ ક્વોરેન્ટાઈનની છૂટ આપવા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD)એ સોમવારે નિયમો સુધારતો પરિપત્ર જાહેર કર્યો છે. અત્યાર સુધી વિદેશથી આવી રહેલા નાગરિકોને પોતાના વતનને બદલે એરપોર્ટથી સીધા જ બીજા જિલ્લામાં ક્વોરેન્ટાઈન રખાતા હતા. GAD અધિક સચિવ એન.પી. લવિંગિયાની સહીથી પ્રસિદ્ધ પરિપત્રમાં કહેવાયું છે કે, ભારત સરકારે કોવિડ-૧૯ના ચેપ નિયંત્રણ માટે વિદેશોમાં ફસાયેલા ભારતીયો જ્યારે દેશમાં પરત ફરે ત્યારે અનુસરવામાં આવતો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ્સ (એસઓપી - ગાઈડ લાઈન) બદલાતાં ગુજરાત સરકારે ઉપરોક્ત બદલાવ કર્યો છે.
આથી હવેથી ‘વંદે ભારત મિશન’ હેઠળ વિદેશથી આવતા ગુજરાતી મુસાફરોને પોતાના જ જિલ્લામાં ૭ દિવસ સંસ્થાકીય ક્વોરેન્ટાઈનની પરવાનગી મળશે. ત્યારબાદ ૭ દિવસ આવા મુસાફરોને હોમ ક્વોરેન્ટાઈન માટે સ્વખર્ચે અથવા સરકારે ઊભી કરેલી નિઃશુલ્ક વ્યવસ્થાનો લાભ મળી શકશે.
આ નિર્ણયથી અમદાવાદ અને સુરત જેવા જિલ્લાઓના વતનીઓને પણ આ બેઉ મહાનગરોમાં પણ ફેસિલિટી ક્વોરન્ટાઈનનો લાભ મળી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter