ગાંધીનગર: કોરોના સંકટ અને લોકડાઉન પછી વિદેશોમાંથી આવતી ફ્લાઈટની સંખ્યા વધી છે. તેના કારણે ઈન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઈન વ્યવસ્થામાં ભારણ વધ્યું છે. આથી ગુજરાત સરકારે ગાઈડલાઈન જારી કરી છે કે, વિદેશોમાંથી આવતા ગુજરાતીઓએ હવે એરપોર્ટથી સીધા જ પોતાના ઘરે ૧૪ દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. સામાન્ય વહીવટ વિભાગ- GADના ઉપસચિવ આઈ. એ. દવેની સહીથી પ્રસિદ્ધ જાહેરનામામાં વિદેશથી આવતા ગુજરાતીઓને ૭ દિવસના ઈન્સ્ટિટયૂશનલ ક્વોરોન્ટાઈનની વ્યવસ્થા રદ કરવાનું કહેવાયું છે. અત્યાર સુધી વિદેશથી આવતા ગુજરાતીઓને સરકારી વ્યવસ્થા અથવા તો હોટલોમાં ૭ દિવસ ક્વોરેન્ટાઈન કરવામાં આવતા હતા.
હવેથી ગર્ભાવસ્થા, પરિવારમાં મત્યુ, માનસિક તકલીફ, ગંભીર બીમારી ધરાવતા અને ૧૦ વર્ષથી નાના બાળકો સાથે આવતા પ્રવાસીઓએ બોર્ડિંગના ૭૨ કલાક પહેલાં મુક્તિ મેળવી હશે તો તેમને સીધા જ ૧૪ દિવસ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ જવા દેવામાં આવશે. તેવી જ રીતે પ્રવાસ પૂર્વના ૯૬ કલાકમાં RT-PCR નેગેટિવ રિપોર્ટ ધરાવતા ગુજરાતીઓને પણ ૧૪ દિવસનું હોમ ક્વોરેન્ટાઈન મળશે. આ બેઉ સ્થિતિ સિવાય જેમને ૧૪ દિવસ હોમ ક્વોરેન્ટાઈનની પરવાનગી મળી ન હોય તેવા પ્રવાસીઓનું એરપોર્ટ પર જ મેડિકલ ચેક-અપ થશે.
આ ઉપરાંત કોવિડ-૧૯ના લક્ષણો ન ધરાવતા હોય તેવા મુસાફરોને ૧૪ દિવસના હોમ ક્વોરેન્ટાઈન માટે જવા દેવાશે. જોકે, જેમનામાં લક્ષણો જણાય તેમનો તત્કાળ રેપિડ એન્ટિજન ટેસ્ટ થશે. જો ટેસ્ટ પોઝિટિવ આવશે તો કોવિડ હોસ્પિટલ અથવા હોમ આઈસોલેશન કરવામાં આવશે. રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો તો શંકાસ્પદ લક્ષણો ધરાવતા પેસેન્જરનો RT-PCRનો ટેસ્ટ થશે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો હોસ્પિટલ અથવા હોમ આઈસોલેશન કરવામાં આવશે.