વિદેશવાસી ગુજરાતીઓ માતૃભૂમિની સમૃદ્ધિ માટે દાયિત્વ નિભાવેઃ આનંદીબેન

Tuesday 12th May 2015 15:14 EDT
 
 

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે વિદેશોમાં સ્થાયી થયેલા ગુજરાતના વતની તબીબો, સંપન્ન વર્ગોને રાજ્યમાં આરોગ્ય, સેવા, સ્વચ્છતા-સ્વસ્થતાના જનઅભિયાનમાં સેવાભાવથી જોડાઈને માતૃભૂમિની સમૃદ્ધિ- સમાજ હિતનું દાયિત્વ નિભાવવા આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતની સતત-અવિરત ગતિશીલ વિકાસયાત્રામાં સમાજના દરેક વર્ગને મુખ્ય ધારામાં લાવવાની આપણી નેમ સૌ ગુજરાતીઓના સહિયારા પુરુષાર્થથી જ સાકાર થશે.

મુખ્ય પ્રધાને ૧૦ મેએ વહેલી સવારે ગાંધીનગર મુખ્ય પ્રધાન નિવાસસ્થાનેથી સેટેલાઇટ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમેરિકાના ન્યૂ યોર્ક, આટલાન્ટા, ટેમ્પા અને શિકાગોના ગુજરાતી સમાજને ઉદ્દબોધન કર્યું હતું. આ તમામ ગુજરાત દિવસ ઉજવણીમાં જોડાયા હતા. આનંદીબહેને ગુજરાતના વિકાસની મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ-ઉપલબ્ધિઓ અને પોતાની સરકારના એક વર્ષના શાસનની જનકલ્યાણ યોજનાઓનું સર્વગ્રાહી ચિંતન-મનન પ્રેરણાદાયી સંબોધનથી વ્યક્ત કર્યું હતું. મુખ્ય પ્રધાને ગતિશીલ ગુજરાતના લક્ષ્ય સાથે લોકસંવાદ સેતુના વિનિયોગથી શાસનના એક વર્ષમાં ૨૪૭ તાલુકા મથકોએ પ્રજા સંવાદના ઉપક્રમથી ૮૭ ટકા સમસ્યાના સ્થળ પર જ નિવારણની કાર્યસિદ્ધિની વિશદ ભૂમિકા આપી હતી. તેમણે જૂન મહિનાથી રાજ્યવ્યાપી બાળક આરોગ્ય સંભાળ જાગૃતિ અભિયાન હેઠળ ફાટેલા-તૂટેલા હોઠ, તાળવા કે ખોડખાંપણયુક્ત બાળકોની સારવાર, ઓપરેશન માટે અભિયાન સરકાર દ્વારા હાથ ધરાશે તેમ જાહેર કરતાં આ સેવાકાર્યમાં વિદેશમાં વસતા ગુજરાતી તબીબો-તજજ્ઞોના સહયોગની અપેક્ષા સેવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter