અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના સત્રને હજુ માંડ એકાદ સપ્તાહ થયો નથી ત્યાં વિપક્ષે અધ્યક્ષ સામે મોરચો માંડયો છે. કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે, ગૃહમાં અધ્યક્ષનું વલણ નિષ્પક્ષ નથી. અલબત્ત, વિપક્ષ તરફ પક્ષપાત ભર્યું વલણ અપનાવાઈ રહ્યું છે. આ કારણોને આગળ ધરીને કોંગ્રેસ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. ૨૮મી ફેબ્રુઆરીએ વિધાનસભાના પ્રથમ સત્ર દરમિયાન, પેટ્રોલ-ડિઝલના સેસના મુદ્દે વિપક્ષે ભાજપ સરકારને ઘેરી હતી. વિપક્ષના ધારાસભ્યોએ આ મુદ્દે તત્કાલ ચર્ચા કરવાની માગ કરી હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અસરકારક રજૂઆત કરવા જતાં તેમને પણ બેસાડી દેવાયા હતાં. આ મામલે કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી જતાં બધાયને સસ્પેન્ડ કરી દેવાયાં હતાં. આ ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક મળી હતી જેમાં અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા નક્કી કરાયું હતું.

