ગાંધીનગરઃ અંતે વિરોધપક્ષની ગેરહાજરીમાં મંગળવારે વિધાનસભામાં બહુચર્ચિત ‘ગુજકોટોક’ વિધેયક પસાર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે આતંકવાદ અને સંગઠિત ગુનાઓ પર લગામ લાવવા માટે રજૂ કરેલા ૧૨ વર્ષ જુના વિવાદાસ્પદ બિલ ‘ગુજકોક’ના ફેરફાર કરાયેલા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GUJCOTOC)ને વિધાનસભામાં પાસ કરાવી લીધો છે. વિપક્ષના ભારે વિરોધ અને વોકઆઉટ વચ્ચે આ બિલને ગૃહે મંજૂરી આપી છે. અગાઉના પ્રયાસોમાં નિષ્ફળ રહ્યા છતાં રાજ્ય સરકારે વિવાદિત આતંકવાદ વિરોધી બિલને વિધાનસભામાં ફરીથી પાસ કરાવ્યું છે.
પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન અમિત શાહે ગુજકોક કાયદો પસાર કરાવવા અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ કેન્દ્રમાં યુપીએ સરકાર હોવાથી અને કેટલીક વાંધાજનક જોગવાઈઓના કારણે વર્ષ ૨૦૦૩થી ગુજકોક અટવાયો હતો.
હવે કેન્દ્રમાં ભાજપની સરકાર રચાતા એ કાયદા આડેના વિઘ્નો દૂર થયા છે અને તેમાં નજીવો સુધારો કરવામાં આવ્યો છે.