અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના છેલ્લા સત્રમાં પસાર કરવામાં આવેલા અશાંત ધારાના કાયદાને ૧૨મી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે મંજૂરી આપી દીધી હતી. આ સાથે જ ગુજરાત રાજ્યના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવાના તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ભાડુતી જગા ખાલી કરાવવામાંથી રક્ષણ મળી રહેશે. ગુજરાત રાજ્ય સરકારે તૈયાર કરેલા કાયદા હેઠળ અશાંતધારાની મિલકતને ગેરકાયદે તબદીલ કરાવી લીધી હોવાનો ગુનો જો સાબિત થઈ જાય તો ૩થી ૫ વર્ષની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ રૂ. ૧ લાખ અથવા મિલકતની જંત્રીની કિંમતના ૧૦ ટકા બેમાંથી જે રકમ વધુ હોય તેટલી રકમનો દંડની કરવાની જોગવાઈ પણ કાયદામાં છે.

