ગાંધીનગરઃ કચ્છના નલિયા સેક્સકાંડની તપાસકર્તા જસ્ટિસ એ. એલ. દવે કમિશનનો રિપોર્ટ ૨૬મીએ વિધાનસભામાં રજૂ થયો હતો. ઓગસ્ટ ૨૦૧૫થી નવેમ્બર ૨૦૧૬ વચ્ચે કચ્છમાં યુવતી પર ભાજપના સ્થાનિક નેતા-કાર્યકરોએ વારંવાર ગેંગરેપની ઘટના બહાર આવી હતી. તપાસ પંચે રિપોર્ટમાં જણાવ્યું કે વારંવાર નોટિસ, સેક્સ રેકેટની સીડી અને બ્લેક મેઈલિંગનો આરોપ મૂકનાર પીડિતા કે અન્ય તરફથી સચોટ પુરાવા ન મળતા આરોપીઓને ક્લિન ચીટ અપાઈ છે. અન્ય એક કેસમાં અમદાવાદના મોટેરા સ્થિત આસારામ આશ્રમમાં ૧૧ વર્ષ પહેલાં પિતરાઈ ભાઈઓ દીપેશ અને અભિષેકના રહસ્યમય મોત થયા હતા. આ કેસમાં તપાસ પંચ રચાયું હતું. તપાસપંચે ૨૬મી જુલાઈએ વિધાનસભામાં રિપોર્ટ આપ્યો કે, બંને બાળકોનાં શરીરમાંથી અંગ ગુમ થયાનું સ્વીકાર્યું, પરંતુ આ અંગો તાંત્રિક વિધિ માટે ગુમ થયાનું સાબિત થતું ન હોવાથી બંને બાળકોનાં મોત ડૂબવાથી હોવાનું તારણ આપ્યું હતું. આશ્રમની બેદરકારીથી મૃત્યુ થયાનો રિપોર્ટ આવતાં આશ્રમના માલિકો આસારામ-સાંઇ નિર્દોષ જાહેર થયા હતા!

