અમદાવાદઃ મહેસાણા દૂધસાગર ડેરીમાં કરોડોના પશુદાણ કૌભાંડમાં સંડોવાયેલા વિપુલ ચૌધરીએ હાઇ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીનો સરકારે વિરોધ કર્યો છે. ચૌધરીના પાસપોર્ટ કોર્ટમાં જપ્ત છતાં ચૌધરી કોર્ટની મંજૂરી વગર વિદેશયાત્રા કરી આવ્યા છે. હાઇ કોર્ટે પાસપોર્ટ ઓફિસરની ભૂમિકા સામે સવાલ કરી પાસપોર્ટ ઓફિસરને પક્ષકાર તરીકે જોડવા આદેશ આપ્યો છે.
વિપુલ ચૌધરીએ પશુદાણ કૌભાંડમાં ધરપકડથી બચવા હાઇ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેનો સરકારે વિરોધ કરતા દલીલ કરી હતી કે ચૌધરીનો એક પાસપોર્ટ કોર્ટે જપ્ત કર્યો, છતાં કોર્ટની પૂર્વ મંજૂરી લીધા વગર તે વિદેશયાત્રા કરી આવ્યા છે. આવા સંજોગોમાં તેને આગોતરા જામીન આપી શકાય નહીં. કોર્ટે સવાલ કર્યો હતો કે પાસપોર્ટ ઓફિસરે એક પાસપોર્ટ હોવા છતાં બીજો પાસપોર્ટ શા માટે ઈશ્યૂ કર્યો છે? જસ્ટિસ એ. જે. દેસાઈની કોર્ટે અમદાવાદ પાસપોર્ટ અધિકારીને પક્ષકાર બનાવવા અને ખુલાસો કરવા આદેશ કર્યો છે.