અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ રાજ્ય એનસીપીનું પ્રમુખપદ આંચકી લેવાયા પછી નારાજ શંકરસિહ વાઘેલાએ એનસીપીના જનરલ સેક્રેટરીપદેથી રાજીનામું આપ્યું હોવાનું ૨૨મી જૂને જાણવા મળ્યું છે. શંકરસિંહે એનસીપીના સુપ્રીમો શરદ પવારને રાજીનામુ મોકલવા સાથે ત્રીજા મોરચાની જાહેરાત પણ કરી દીધી છે. બાપુએ હવે પ્રજાશક્તિ મોરચાની રચના કરી છે.
રાજીનામું આપીને શંકરસિંહે કહ્યું કે, લોકડાઉન વખતે ગુજરાત એનસીપીના પ્રમુખપદને બદલવા ફોન આવ્યો હતો તે વખતે મેં રોકાઇ જવા કહ્યુ હતું, પણ મને જાણ કર્યા વિના જ પ્રદેશ પ્રમુખ બદલવાનો નિર્ણય લેવાતાં મેં રાજીનામું આપ્યું છે. પક્ષનો વ્હિપ હોય છતાંય ધારાસભ્ય કોંગ્રેસને મત આપે તેવા પક્ષમાં ન રહેવાય.
શંકરસિંહે જણાવ્યું કે, આ નવો મોરચો હાલમાં ભાજપના જુઠ્ઠાણાં, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઉપરાંત પ્રજાલક્ષી પ્રશ્નોને લઇને આંદોલન-વિરોધ પ્રદર્શન કરશે. આ ઉપરાંત એક કમિટી બનાવાઇ છે જે આખાય રાજ્યમાં ફરીને લોકોનો અભિપ્રાય મેળવશે કે, આગામી દિવસોમાં રાજકીય પ્રવૃત્તિને લઇને શું કરવું? લોકોના અભિપ્રાય બાદ આખરી નિર્ણય લેવાશે. જોકે, ચર્ચા એવી છે કે, શંકરસિંહે એનસીપીમાંથી રાજીનામુ આપતાં તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનો ભાજપમાં જવાનો માર્ગ મોકળો બન્યો છે.
ધારાસભ્ય કાંધલ જાડેજાને એનસીપીએ નોટિસ
રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપીએ કોંગ્રેસને સમર્થન જારી કર્યું હતું. ધારાસભ્ય કાંધલ જાડેજાને વ્હિપ આપ્યો હોવા છતાંય પક્ષના આદેશનો અનાદર કરીને ભાજપને મત આપ્યો હતો. આ ઉપરાંત પક્ષની સૂચના વિરુદ્ધ ભાજપના ધારાસભ્યોની બેઠકમાંય કાંધલ હાજર રહ્યાં હતાં. આ જોતાં ગુજરાત એનસીપીએ કાંધલ જાડેજાને નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવ્યું છે. રાજકીય નિષ્ણાતોના મતે, એનસીપી આ વખતે કાંધલ જાડેજા સામે કડક કાર્યવાના મૂડમાં છે.