શક્તિસિંહ ગોહિલે હારની જવાબદારી સ્વીકારી: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું

Tuesday 24th June 2025 13:57 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતના મતદારોએ ફરી એક વખત કોંગ્રેસના ઉમેદવારને જાકારો આપ્યો છે. કોંગ્રેસના હાઈકમાન્ડે ખુદ મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા મોરચો સંભાળ્યો છે પણ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને ફરી હારનો સામનો કરવો પડયો છે ત્યારે હારની જવાબદારી સ્વિકારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી સ્વૈચ્છિક રીતે રાજીનામુ ધરી દીધું છે. બળતુ ઘર મૂકીને શક્તિસિંહ ગોહિલે પ્રમુખપદની જવાબદારીમાંથી મુક્તિ લીધી છે.
ગુજરાત કોંગ્રેસના માળખામાં ધરમૂળમાં ફેરફાર કરવા હાઈકમાન્ડે નક્કી કર્યું છે. જેના ભાગરૂપે બે દિવસ પહેલાં શનિવારે 40 શહેર અને જીલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે જેને લઈને પણ કોંગ્રેસમાં આંતરિક કચવાટ ઉભો થયો છે.
અમદાવાદ શહેર કોંગ્રેસની કમાન સોનલબેન પટેલને સોંપાઈ છે ત્યારે પ્રમુખપદના એક દાવેદાર નેતાએ સોશિયલ મિડીયામાં ઉભરો ઠાલવ્યો છે. આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોચ્યો છે ત્યારે આજે કડી અને વિસાવદરમાં પણ મતદારોએ કોંગ્રેસને જાકારો આપ્યો છે.

‘નબળા દેખાવની નૈતિક જવાબદારી મારી’
પેટા ચૂંટણીનાં પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, કડી અને વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો નથી. બંને બેઠકો પર પરિણામો નિરાશાજનક રહ્યાં છે. જેની નૈતિક જવાબદારી સ્વિકારી હું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામુ આપી રહ્યો છુ. હાઈકમાન્ડને રાજીનામુ મોકલી આપ્યુ છે. નવા પ્રમુખની વરણી થાય ત્યાં સુધી ધારાસભ્ય શૈલેષ પરમારને કામચલાઉ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળશે.

જોકે, એઆઈસીસીની મંજૂરી વિના કામચલાઉ પ્રમુખપદે શૈલેષ પરમારને જવાબદારી સોંપાતા કોંગ્રેસના ઘણાં નેતાઓ નારાજ થયા છે. આમ, ગુજરાતમાં મતદારો કોંગ્રેસને હજુ સ્વિકારી રહ્યા નથી તેમ છતાંય કોંગ્રેસમાં આંતરિક વિખવાત શાંત થતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter