અમદાવાદઃ આતંકવાદીઓના ગઢ પાકિસ્તાનને ‘ઓપરેશન સિંદૂર’ થકી આકરો પાઠ ભણાવ્યા બાદ સોમવારે પહેલી વખત વતનની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છની રણકાંધીએથી ફરી પડોશી દેશને આકરો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે શાંતિ સે રોટી ખાઓ, વના મેરી ગોલી તો હૈ હી. બે દિવસના ઝંઝાવાતી પ્રવાસમાં મોદી વડોદરા - દાહોદ - ભુજ - અમદાવાદ અને ગાંધીનગર ફરી વળ્યા હતા. દરેક સ્થળે રોડ-શો અને જાહેર કાર્યક્રમો કર્યા તો લોકોએ પણ ખોબલા મોઢે પ્રેમ વરસાવ્યો. ‘ઓપરેશન સિંદૂર’ને ભારતની ભાવના અને અભિવ્યક્તિનું પ્રતીક ગણાવતા મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાન ટેરરિઝમને જ ટુરિઝમ માને છે, જે વિશ્વ માટે મોટો ખતરો છે.
1971ના યુદ્ધની યાદ તાજી કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત-પાક. યુદ્ધ વેળા કચ્છ સરહદે આવેલા એરફોર્સના રન-વેને ભારે નુકસાન થયું હતું. ત્યારે માધાપરની બહેનોએ બોમ્બમારા વચ્ચે માત્ર 72 કલાકમાં રન-વે તૈયાર કરી દીધો હતો. આ રન-વે પરથી ઉડાન ભરી આપણી વાયુસેનાએ પાકિસ્તાનને યુદ્ધમાં પછડાટ આપી હતી. આજે મને એ મહિલાઓના આશીર્વાદ મળ્યા છે. તેમણે મને સિંદૂરનો છોડ અર્પણ કર્યો છે (જૂઓ તસવીર). તેનો ઉછેર પીએમ હાઉસમાં કરાશે. સાથે જ, કચ્છમાં ‘સિંદૂર વન’નું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. (વિશેષ અહેવાલઃ પાન 11 - 19)