અમદાવાદઃ પરંપરાગત રીતે ભારે ભીડ વચ્ચે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે કોરોનાના કહેર અને લોકડાઉનના કારણે ખૂબ જ ઓછા લોકો સાથે અને ભક્તો વિના નીકળશે. રથયાત્રા પહેલાં થતી જળયાત્રા તાજેતરમાં પાંચમી જૂનના રોજ યોજાઈ હતી.
જળયાત્રામાં ગણતરીના લોકો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે જ જોડાયા હતા. આ વખતે જળયાત્રામાં શોભાયાત્રા પણ યોજાઈ નહોતી. કોરોનાના કારણે મંદિરના ટ્રસ્ટે લીધેલા નિર્ણય મુજબ ગાદીપતિ દિલીપદાસજી અને ટ્રસ્ટના લોકો જ જળયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા.
જગન્નાથ મંદિરમાં પાંચમીએ સવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાનને કેસર અને દૂધનો અભિષેક થયો હતો. મંદિરમાં પૂજા વિધિ બાદ સાબરમતી નદીના પટના કિનારે સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન અને જળાભિષેક થયો હતો. નીતિન પટેલે કહ્યું કે સાદગીપૂર્વક રથયાત્રા યોજવાનું નક્કી કરાયું હતું અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભક્તોની ભીડ વિના જ રથયાત્રા પણ નીકળશે.