અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે ૩૧મી માર્ચે જસ્ટિસ એમ. બી. શાહ તપાસ પંચનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર સામે જમીન ફાળવણી સહિતના ૧૫ મુદ્દે મુકાયેલા ભ્રષ્ટાચારના આરોપમાં ક્લિન ચીટ મળી હતી. ગૃહમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે શાહ કમિશને સાડા પાંચ હજાર પાનાંથી વધુનો રિપોર્ટ આપ્યો છે. જેનુ એનાલિસિસ પણ કરવામાં આવશે. આ રિપોર્ટ જાહેર કરાયો ત્યારે ગૃહમાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા અને શક્તિસિંહ ગેરહાજર હતા.
આ અંગે નાયબ મુખ્યપ્રધાન પત્રકાર પરિષદમાં કહ્યું કે શાહ કમિશને સ્પષ્ટ તારણ આપ્યું છે કે ભ્રષ્ટાચારના આરોપોમાં કંઈ તથ્ય નથી.
જૂન ૨૦૧૧માં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાએ ભારતના રાષ્ટ્રપતિને જુદા જુદા ૧૭ મુદ્દા પર આક્ષેપો સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આરોપો બાદ તત્કાલીન મુખ્ય પ્રધાને સામે ચાલીને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ એમ. બી. શાહ કમિશન રચીને ન્યાયિક તપાસ સોંપી હતી.


