• આનંદીબહેન પટેલ ચૂંટણી નહીં લડે: રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ભાજપના પ્રમુખ અમિત શાહને તાજેતરમાં એક પત્ર લખીને જણાવ્યું છે કે, અગાઉ મેં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું ત્યારે ૭૫ વર્ષ પછી પદ કે હોદ્દા પર ન રહેવાની ભાજપની નીતિનો ઉલ્લેખ કર્યો હતો. આજે હું પાર્ટીની એ જ નીતિના આધારે વર્ષ ૨૦૧૭ની ચૂંટણી લડવા માગતી નથી.
• જય શાહનો ‘ધ વાયર’ સામે કેસઃ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ તથા ન્યૂઝ પોર્ટલ ‘ધ વાયર’ દ્વારા આક્ષેપ થયા હતા કે, કેન્દ્રમાં ભાજપ સરકાર આવ્યા પછી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની નુક્સાનીમાં જતી કંપની રાતોરાત નફો કરતી થઈ ગઈ. જય શાહની કંપની ટેમ્પલ એન્ટરપ્રાઇઝનું ટર્નઓવર રૂ. ૫૦ હજારમાંથી વધીને સીધું રૂ. ૮૦ કરોડ થઈ ગયું. આ મોદીસરકાર કેન્દ્રમાં આવ્યા પછથી થયું છે કોંગ્રેસ અને ‘ધ વાયર’ના સવાલો પછી જય શાહે ‘ધ વાયર’ સામે રૂ. ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કરવાનું નિવેદન આપ્યું છે.
• ૨૦૦૨ના રમખાણોમાં મોદીને ક્લીન ચિટઃ ગોધરાકાંડ પછી અમદાવાદમાં મેઘાણીનગરની ગુલબર્ગ સોસાયટી થયેલા હત્યાકાંડમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯નાં મોત થયા હતા. તેમાં નરેન્દ્ર મોદી સહિત ૫૦ જણાનો હાથ હતો તેવા અહેસાનનાં પત્ની ઝાકિયાના દાવાને હાઈ કોર્ટે નકારતાં કહ્યું છે કે, આવા કોઈ પણ વ્યાપક ષડયંત્રનો નરેન્દ્ર મોદી ભાગ નહોતા ગુજરાત હાઇ કોર્ટે રમખાણોના મામલે નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી છે.