સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Wednesday 15th April 2020 07:08 EDT
 

ગુજરાતમાં ખૂણેખાંચરે બનેલી ઘટનાઓની ઝલક...

હજીરા પટ્ટાની ૩ કંપનીનું રૂ. ૭૫૬ કરોડનું દાન

સુરતઃ એલએન્ડટી દ્વારા પીએમ કેર્સમાં રૂ. ૧૫૦ કરોડનું કોરોના સામેની જંગમાં સરકારને અનુદાન કરાયું એ પછી આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ એએમએનએસ ઈન્ડિયા અને હિંદુસ્તાન પેટ્રોલિયમ મિત્તલ એનર્જી ઈન્વેસ્ટમેન્ટ વચ્ચેની ભાગીદારી એચએમએમઈએલ દ્વારા કોરોનાથી અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયની રક્ષા માટે સમર્થ પેકેજ જાહેર કરતાં પીએમ સિટીઝન્સ આસિસ્ટન્સ એન્ડ રિલિફ ઈન ઈમરજન્સી સિચ્યુએશન ફંડમાં કુલ રૂ. ૧૦૦ કરોડનું ફંડ અપાયું છે. વધુમાં કંપની દ્વારા ૫૦૦૦થી વધુ લોકોને દૈનિક ભોજનમાં ટેકો આપવા સાથે ૩૦,૦૦૦થી વધુ લોકોને ફૂટ કીટ પૂરી પાડી છે. આ પ્રમાણે રિલાયન્સે પણ પીએમ કોવિડ-૧૯ રિલીફ ફંડમાં રૂ. ૫૦૦ કરોડ અને ગુજરાત રાજ્યના સીએમ કોવિડ-૧૯ ફંડમાં રૂ. ૫૦૦ કરોડનું અનુદાન આપ્યું છે.

વડોદરાના બે વૃદ્ધોનાં યુએસમાં કોરોનાથી મોત 

વડોદરાઃ સંખેડાના અને વડોદરામાં વર્ષોથી રહેતા પકંજભાઈ પરીખ જીઇબી હેડ ઓફિસમાં એડિશનલ ચિફ એન્જિનિયર પદ પરથી નિવૃત્ત થયા બાદ છેલ્લા ચાર વર્ષથી અમેરિકા ખાતે સ્થાયી થયા હતા. ૬૨ વર્ષીય પંકજભાઈનુ ન્યૂ જર્સીમાં કોરોના વાઇરસના કારણે મોત નિપજ્યું છે. તેઓ ન્યૂ જર્સીમાં નટલી વિસ્તારમાં આવેલા વોશિંગ્ટન એવેન્યૂમાં રહેતા હતા. આ જ રીતે ન્યૂ જર્સીના લિયોનાર્ડ વિસ્તારમાં રહેતા વડોદરાના ચંદ્રકાન્તભાઈ અમીનનું પણ કોરોના વાઈરસના કારણે મોત થયું છે. ચંદ્રકાન્તભાઈ ૭૮ વર્ષના હતા. ચંદ્રકાન્તભાઈ શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા હતા અને ૨૪ વર્ષ પહેલા અમેરિકા સ્થાયી થયા હતા.

નેદરામાં ફરજ બજાવતા હોમગાર્ડને સલામ

નેદરાઃ કોરોના વોરિયર્સની હિંમતને મજબૂત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. નેદરામાં ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. તે કોરોના હોટસ્ટોટ સિદ્વપુર તાલુકાના નેદરા ગામમાં ૧૧મી એપ્રિલે ભુજ રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી પાટણ એસપી અક્ષયરાજ મકવાણા સાથે આ ગામે પહોચ્યા હતા. અહીં જીવના જોખમે ફરજ બજાવતા જીઆરડી, હોમગાર્ડ અને પોલીસના જવાનો સાથે વાતચીત કરી હતી. તેમની કામગીરીને બિરદાવતાં એક હોમગાર્ડને આઇજી સુભાષ ત્રિવેદીએ સલામ પણ કરી હતી.

જરૂરિયાતમંદો માટે ૩ દિવસમાં વેબસાઈટ 

સુરતઃ કોરોનાના કારણે ફસાઈ ગયેલા અને જરૂરિયાતમંદ લોકો સુધી ખોરાક પહોંચી શકે તે માટે સુરતના વિશાલ વિરાણી અને આશિષ ભલાણીએ દાલરોટી નામની એક વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટનો ઉપયોગ કરી શહેરની કોઈપણ વ્યક્તિ ગમે તેટલું ફૂડ એનજીઓને આપીને યથાયોગ્ય મદદ કરી શકે છે. એનજીઓ ઘરેથી આ ફૂડ પેકેટ લઈને જરૂરિયાતમંદોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે. આ વેબસાઈટ રોજના ૧૮થી ૨૦ કલાક મહેનત કરીને માત્ર ૩ જ દિવસમાં બનાવાઈ છે. હાલ આ વેબસાઈટમાં શહેરની ૧૦ એનજીઓ અને ૩થી વધુ બિલ્ડીંગ જોડાઈ છે. જેથી અત્યાર સુધીમાં ૫૦૦ જરૂરિયાતમંદ લોકોને મદદ મળી છે. જોકે, જેટલા લોકો વધુ યુઝ કરે તો ૫૦૦૦ની જગ્યાએ ૫૦ હજાર લોકો સુધી પણ વ્યવસ્થિત જમણવાર પહોંચાડી શકાય છે.

પોલીસે જપ્ત કરેલા વાહનોમાં આગ લાગતાં ભય

સુરતઃ ઉધના પોલીસ સ્ટેશનની બહાર પાર્ક વાહનોમાં ૧૪મી એપ્રિલે અચાનક જ આગ લાગી જતાં પોલીસ કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. ઉધના પોલીસે કેટલાક ગુના હેઠળ આ તમામ વાહનો જપ્ત કર્યાં હતા. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનોમાં આગ બાદ ફાયર વિભાગ પણ દોડતું થઈ ગયું હતું. એટલું જ નહીં પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આગ લાગવા પાછળ નું કોઈ કારણ જાણી શકાયું નથી. ઉધના પોલીસ તપાસ કરી રહી છે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, આગમાં ટેમ્પો સહિત કેટલાક મોટા વાહનોને અસર થઈ હતી અને ચારેક મોટા વાહનો સંપૂર્ણ રીતે બળી ગયા હતા. આગનો ધુમાડો ફેલાતાં આજુબાજુના લોકોમાં જોકે ભય ફેલાયો હતો. જોકે લોકો ભેગાં ન થતાં હાશકારો થયો હતો. 

ખેડા જિલ્લામાં એપેડેમિક રેગ્યુલેશન એક્ટ લાગુ

નડિયાદઃ કોરોના વાઈરસના ફેલાવા અને સંક્રમણ ટાળવા માટે ખેડા જિલ્લામાં એપેડેમિક રેગ્યુલેશન એકટ લોકડાઉન પછી લાગુ કરવામાં અવ્યો છે. આ એક્ટ પ્રમાણે કોઇ પણ વ્યકિત હવે કામ વગર પોતાના ઘરના ઝાંપાની બહાર પણ નીકળી નહીં શકે. લોકડાઉન દરમિયાન પોતાના ઘરના કમ્પાઉન્ડ બહાર, રસ્તા પર કે કોમન પ્લોટમાં પણ આવી શકશે નહીં. તેવો આદેશ જારી કરાયો છે. સાથે સાથે હાલમાં જિલ્લામાં કુલ ૧૦૬ વ્યક્તિ ઓબઝર્વેશન હેઠળ છે. જ્યારે ૭૨૬ હોમ ક્વોરેન્ટાઈન સારવાર પૂર્ણ કરી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter