લોકડાઉનમાં લગ્ન થતાં વર વધૂ, ગોરની ધરપકડ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વંકાલ ગામે વજીફા ફળિયામાં રહેતી નિમિષા રમેશભાઇ પટેલના લગ્ન ૧૭મી એપ્રિલે ગણદેવી તાલુકાના નાંદરખા રહેતા આવિક જગદીશભાઈ પટેલ સાથે હતાં. બે ગોર મહારાજ લગ્નની વિધિ રીતરિવાજ મુજબ કરાવી રહ્યાં હતાં. વર - કન્યા ફેરા ફરી રહ્યા હતા ત્યારે જ ચીખલી પોલીસ સ્થળે પહોંચી. પોલીસે લગ્ન વિધિ તો પૂર્ણ કરવા દીધી, પણ એ પછી જાહેરનામા (કલમ ૧૪૪)ના ભંગ બદલ વર-વધૂ, બે ગોર મહારાજ સહિત ૧૪ લોકોની ધરપકડ કરી હતી.
૫૦૦થી વધુ કારીગરો રસ્તા પર ઉતર્યા
સુરતમાં લસકાણા અને વરાછા મોહનનગર બાદ તાજેતરમાં પંડોળ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ૫૦૦થી વધુ કારીગરોનાં ટોળાએ દેખાવ કર્યાં હતાં. વિવિધ ઓમ્બ્રોયડરી અને વિવિંગ એકમો સાથે સંકળાયેલા કારીગરોએ વતન જવા માટેની ફરી માગ કરી હતી. અખિલ ગુજરાત એમ્બ્રોયડરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશ અણઘણે જણાવ્યું કે, કામદારોએ કર્ફ્યુ પાસ ઇશ્યુ થયાં નથી અને અવ્યવસ્થામાં રખાયા હોવાનું કહીને હોબાળા થયાં હતાં. જોકે પછીથી ટોળું વિખેરવામાં સફળતા મળી હતી.
કોરોના મુક્તિ માટે યુવકે પોતાની જીભ કાપી
સૂઇગામમાં આવેલા ભવાની માતાજીના મંદિરનું કામ કરતા વિવેક ઉર્ફે ગોલુ રવિંદર શર્મા (અખેપુરા, તા. મોરે, મધ્ય પ્રદેશ, ઉં. ૨૫ વર્ષ)એ કોરોના મહામારીને ભગાડવા ૧૮મી એપ્રિલે વહેલી સવારે નડેશ્વરી માતાજીના મંદિરના ગર્ભગૃહમાં જઈને બ્લેડ વડે પોતાની જીભ કાપી નાંખી પછી તે ત્યાં જ બેભાન થઈ જતાં લોહીનું ખાબોચિયું ભરાઇ ગયું હતું. મંદિરના પૂજારી, ટ્રસ્ટીઓએ નજીકમાં બીએસએફની ચોકીમાં જાણ કરતાં બીએસએફની એમ્બ્યુલન્સમાં યુવકને સૂઇગામમાં સારવાર અપાયા પછી થરાદમાં દાખલ કરાયો હતો. જ્યાં તબીબોએ તેની કપાયેલી જીભ સાંધી આપી હતી.
મામલતદાર, ના. મામલતદાર પર હુમલો
કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે વિજાપુર મામલતદાર કચેરીમાં લોકડાઉનમાંથી મુક્તિ મેળવવાના પાસ રિન્યુ કરવા બાબતે વિજાપુર મામલતદાર જી. કે. પટેલ અને પુરવઠાના નાયબ મામલતદાર કાર્તિકસિંહ વિહોલ પર હુમલો કરનારા બે આરોપી ભાઈઓ સૈયદ મોહમ્મદ તબરેજ અને સૈયદ મોહમ્મદ તાબિઝ તલત મહેમૂદ યુસુફમિયાને ઝડપીને એકને રાજકોટ અને એકને સુરત મધ્યસ્થ જેલમાં મોકલી અપાયા હતા. અસામાજિક પ્રવૃત્તિ પર અંકુશ રહે તે માટે જિલ્લા પોલીસવડા મનીષ સિંહે પાસાની દરખાસ્ત કર્યાં બાદ આ પગલાં લેવાયાં હતાં.
સુરતમાં ૪ પોલીસ મથકની હદમાં કફર્યુ
સુરત શહેરમાં પાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સંખ્યામાં વધારો થતાં સુરત પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટે ૧૬મી એપ્રિલથી ૨૨મી એપ્રિલ સુધી સેન્ટ્રલ ઝોનના વિસ્તારો સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન ઉપરાંત લિંબાયત પોલીસ સ્ટેશનની કમરુનગર પોલીસ ચોકીના વિસ્તારમાં કફર્યુના અમલ કરવાનું નોટિફિકેશન જારી કર્યું હતું.
૪ ગામોમાં લોકડાઉનનો કડક અમલ કરાવતી સ્ત્રી
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ૪ ગામો કાંગવઇ, સરૈયા, ચિતાલી અને જોગવાડમાં મોટાભાગે મુસ્લિમ વસતી જ વસવાટ કરે છે. આ ચારેય ગામોમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય એ માટે કાંગવઇના નઝીરાબહેન માયત ચારેય ગામમાં સવાર-સાંજ ફરીને લોકોને લોકડાઉનનો અમલ કરવા સમજાવે છે. નઝીરાબહેન માયત ગામના આગેવાનો અને લોકોને મળીને લોકડાઉનનું ચૂસ્તપણે પાલન કરાવે છે. લોકડાઉન જ્યારથી કરાયું છે ત્યારથી ગામમાં આવેલી મદરેસા અને મસ્જિદને લોક કરાઈ છે. ગામોમાં મદરેસાઓમાં વિદ્યાર્થીઓને રજા છે. દરેક મસ્જિદ પર મૌલાનાઓએ દરવાજા પર નોટિસ લગાવી છે અને લોકોને ઘરેથી જ અલ્લાહની બંદગી કરવાનું ફરમાન કરાયું છે. લોકો ઘરે જ નમાજ પઢે છે.
અમદાવાદથી પાલિતાણા ગયેલા ૭ ક્વોરેન્ટાઈન
લોકડાઉનની સ્થિતિમાં ૧૫મી એપ્રિલે સાંજે અમદાવાદથી ૭ વ્યક્તિ પાલિતાણા પહોંચી હતી. આ સાતમાંથી એક વ્યક્તિની તબિયત વધુ નાદુરસ્ત થતાં તેને ભાવનગરમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. તંત્રએ જણાવ્યું કે, પાલિતાણા જૈનોના તીર્થસ્થાન તરીકે જાણીતું છે. દર વર્ષે યાત્રા કરવા અહીં મોટી સંખ્યામાં જૈન જૈનેત્તર ઉમટી પડે છે. તાજતેરમાં સાત લોકો અમદાવાદથી પાલિતાણા આવ્યા તે તમામને તંત્ર દ્વારા ક્વોરેન્ટાઈન કરી દેવાયા હતા.
કોરોનાની રસી શોધવા માટે દેહદાનની ઓફર
દાહોદમાં લેબ. ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા પ્રીતેશ સોનીએ તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પાઠવીને જણાવ્યું છે કે, કોરોનાની રસી શોધવા જીવંત માણસ પર પરીક્ષણ કરાય તો પરિણામ કદાચ ૧૫ કે ૨૦ દિવસમાં જ મળી શકે અને માનવસંહાર અટકી જઈ શકે. આ પરીક્ષણ માટે પોતાના જ દેહનું દાન કરવાનું જણાવતાં પ્રીતેશે લખ્યું છે કે પરીક્ષણમાં મોરું મોત થાય તો તેના મોટે હું પોતે જ જવાબદાર રહીશ.