નિવૃત્ત જજ આર એચ શુક્લ રાજ્યના લોકાયુક્ત
ગાંધીનગરઃ ગુજરાત હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ આર એચ શુક્લની તાજેતરમાં ગુજરાતના લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી છે. ડિસેમ્બર ૨૦૧૮માં ડી. પી. બુચ નિવૃત્ત થયા ત્યારથી લોકાયુક્તની જગ્યા ખાલી પડી હતી. ૧૯૯૪માં તેમની નિમણૂક સેશન્સ જજ તરીકે થઈ હતી. એ પછી તેમણે જુદી જુદી કોર્ટમાં સેવા આપી હતી. નવેમ્બર ૨૦૦૭માં તેઓ હાઈ કોર્ટના જજ નિમાયા અને ડિસેમ્બર ૨૦૧૮માં હાઈ કોર્ટના જજના હોદ્દેથી નિવૃત્ત થયા હતા.
૧.૧૦ લાખ ઘરે સોલાર રૂફટોપઃ રાજ્ય દેશમાં પ્રથમ
ગાંધીનગરઃ રાજ્યમાં ૧૯મી જૂન સુધીમાં કુલ ૧,૧૦,૦૨૯ રહેણાક મકાનો પર સોલાર રૂફટોપ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની સાથે ગુજરાત આ ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે. છેલ્લા ૯ મહિનામાં જ રાજ્યમાં ૫૫,૫૩૦ ઘરો ઉપર કુલ ૨૦૮ મેગાવોટના સોલાર રૂફટોપ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાયા છે. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના રિપોર્ટ મુજબ ૩૧ મે ૨૦૨૦ સુધીમાં ગુજરાતમાં કુલ ૫૫૮.૧૭ મેગાવોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થપાયા છે.
રાજ્યમાં નવા ૪ એસટી મથકો - ૨ ડેપોનું લોકાર્પણ
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૨૦મી જૂને વીડિયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરના માણસા, બનાસકાંઠાના લાખણી, છોટા ઉદેપુરના સંખેડા તથા તાપીના કુકરમૂડામાં નવા એસટી મથકો, નલિયા-બોટાદ-ગઢડામાં નવા એસટી બસ ડેપો અને અમરેલીમાં એસટી કર્મચારીઓની વસાહતનું લોકાર્પણ કર્યું હતું. જ્યારે જામનગરમાં આરટીઓ અને દ્વારકા, ગીર સોમનાથ, આણંદ, છોટા ઉદેપુરમાં એરઆટીઓ કચેરી ખુલ્લી મુકાઈ છે.