અમદાવાદઃ કોરોના મહામારીના પગલે સમગ્ર વિશ્વ હવે સફાઈને મહત્ત્વ આપતું થઈ ગયું છે ત્યારે ૭ મહિના પહેલાં સફાઈના સંદેશા સાથે સાઈકલ પર ભારત યાત્રા પર નીકળેલા આસામના અને હરિદ્વાર રહેતા ૨૯ વર્ષીય લુઈસ દાસ તાજેતરમાં ભારતના અનેક રાજ્યની સફર બાદ અમદાવાદ આવી પહોંચ્યા હતા.
તેઓ કહે છે કે દેશમાં સફાઈને મહત્ત્વ આપવા માટે અને કચરા પેટીને એટલે કે ડસ્ટબિનને પ્રમોટ કરવાના હેતુ સાથે ઓક્ટોબર, ૨૦૧૯માં હરિદ્વારથી સાઈકલ લઈને હું નીકળ્યો હતો.
ઉત્તર પ્રદેશના વિવિધ શહેરમાં થઈને બિહાર અને બિહારથી પૂર્વ દક્ષિણના રાજ્યથી હું મહારાષ્ટ્રમાં - નાસિક પહોંચ્યો હતો. ત્યાં દક્ષિણ ગુજરાત થઈને બીજી જૂને અમદાવાદ આવ્યો છું. હવે અહીંથી મધ્ય પ્રદેશ અને ત્યાંથી રાજસ્થાન થઈને દિલ્હી, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ જઈશ અને છેલ્લે હરિદ્વારમાં યાત્રા સંપન્ન કરીશ. ૭ મહિનાની સાઈકલ સફર બાદ હજુ પણ દોઢ મહિના જેટલો સમય સાઈકલ યાત્રાનો બાકી છે. અત્યાર સુધી ૧૫ હજારથી વધુ કિમી સાઈકલ પર ફરી ચૂક્યો છું અને આગળ હજુ પાંચ હજાર કિ.મી. સાઈકલ યાત્રા થશે. કોરોનાની અસર ભારતમાં શરૂ થતાં માર્ચમાં હું મારી યાત્રા દરમિયાન એક ઢાબામાં રોકાયો હતો ત્યાંના માલિકે સાઈકલ પર કોરોનાના રક્ષણ માટેના સૂત્રો સાથેના હોર્ડિંગ્સ મારી સાઇકલ પર લગાવી દીધા હતા જેથી લોકો કોરોનાથી બચવા માહિતગાર થઈ શકે. ઉલ્લેખનીય છે કે માત્ર દસ ધોરણ સુધી ભણેલા લુઈસ દાસ અંગ્રેજીમાં સરસ વાતચીત કરે છે. તેમણે જણાવ્યું કે, આધ્યાત્મિક જીવનની લગની લાગતાં પાંચ વર્ષ માટે બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યો છું.