અમદાવાદઃ લોકહિત માટે જાહેરહીતની અરજીઓ કરી સ્વખર્ચે સમાજના કલ્યાણ માટે લડત આપતા નિવૃત્ત સરકારી અધિકારી પ્રફુલ્લ દેસાઈનું ૧૨મી સપ્ટેમ્બરે સવારે ગુજરાત હાઇ કોર્ટના ચીફ જસ્ટિસની સામે જ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. વડોદરાથી ખાસ ગુજરાત હાઇ કોર્ટમાં જાહેરહિતની રિટ કરવા આવતા કે પાર્ટી ઇન પર્સન તરીકે તેઓ લડત આપતા રહ્યા હતા. વકીલ નહી હોવા છતાં વિશેષ પરવાનગી મેળવી હાઇ કોર્ટ સમક્ષ જાહેરહિતમાં ૫૦થી વધારે જાહેરહિતની રિટ કરનાર પ્રફુલ્લ દેસાઈ ૧૨ સપ્ટેમ્બરે સવારે લોકહિતની આવી જ એક રિટમાં કોર્ટ સમક્ષ રજૂઆત માટે વડોદરાથી અમદાવાદ આવ્યા હતા. સવારે ૧૦.૪૫ વાગ્યાના સુમારે પ્રફુલ્લભાઈને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓ ફર્સ પર જ ફસડાઈ પડ્યા હતા. ત્યાર બાદ તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.


