અમદાવાદ: ‘સેવા’ના ફાઉન્ડર ઇલાબહેન ભટ્ટની સાબરમતી આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ તરીકે ૧૬મી ઓક્ટોબરે વરણી થઇ છે. અત્યાર સુધી તેઓ ‘સેવા’ની આગેવાની સંભાળી રહ્યા હતા. હવે તેઓ સાબરમતી ગાંધી આશ્રમના ટ્રસ્ટી મંડળની ધુરા સંભાળશે. તેઓ ગાંધી આશ્રમ ટ્રસ્ટની ટ્રસ્ટી સમિતિના સભ્ય તો હતા જ, પરંતુ તાજેતરમાં આ સમિતિના પ્રમુખ અને ગાંધીજીના અંતેવાસી અબ્દુલ હામીદ કુરેશીનું અવસાન થવાથી આ સમિતિએ પોતાના વડીલ આગેવાન ગુમાવ્યા હતા.
આવનારા વખતમાં સાબરમતી ગાંધી આશ્રમ પોતાની સ્થાપનાના ૧૦૦ વર્ષ અને મહાત્મા ગાંધીના જન્મના ૧૫૦ વર્ષ ઉજવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ઇલાબેન ભટ્ટે ટ્રસ્ટીમંડળની આગેવાની સંભાળી છે. પૂર્વપ્રમુખ અબ્દુલ હામિદ કુરેશીના અવસાન બાદ ટ્રસ્ટી મંડળે ઇલાબહેનને આ જવાબદારી સંભાળવા વિનંતી કરી હતી જેમાં કાર્તિકેય સારાભાઇ, સુદર્શન આયંગર, અશોક ચેટર્જી અને અમૃત મોદીનો સમાવેશ થાય છે.