સામે કૌરવ સેના અને મારી પાસે માત્ર સચ્ચાઈઃ રાહુલ

Wednesday 08th November 2017 06:50 EST
 
 

વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢામાં આવી પહોંચેલી કોંગ્રેસની નવસર્જન યાત્રામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજી નવેમ્બરે કોંગ્રેસને પાંડવોની સેના અને ભાજપને કૌરવ સેના ગણાવી કહ્યું હતું કે કૌરવો પાસે ખૂબ મોટી સેના હતી, હથિયાર હતા. જ્યારે પાંડવો પાસે માત્ર સચ્ચાઇ હતી, બીજુ કંઇ નહોતું. રાહુલએ કહ્યું, મારી પાસે માત્ર સચ્ચાઇ છે, બીજુ કંઇ નથી. હિંદુસ્તાનમાં માત્ર સત્યનો વિજય થાય છે. ખોટું ક્યારેય જીતતું નથી. ક્યારેક તો અહીં સત્ય જીતશે જ. નાનાપોંઢામાં યોજાયેલી જાહેર સભામાં નિર્ધારિત સમય કરતાં ૩ કલાક મોડા પહોંચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષે આદિવાસી પ્રજાજનોને સંબોધતા જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ લાખ યુવા આદિવાસીઓને રોજગાર આપવાની વાત કરી. તમામને ઘર આપવાની વાત કરી. સારું શિક્ષણ, સારી આરોગ્ય સેવા આપવાની વાત કરી, પરંતુ કંઇ ન આપ્યુ. રાહુલ ગાંધીનો ચૂંટણીરથ પહેલીએ વડોદરા શહેરથી ૫૦ કિમી દૂર જંબુસર પહોંચ્યો હતો. જ્યાં રાહુલે કહ્યું હતું કે, કેન્દ્રના નાણા પ્રધાને કાલે જ નિવેદન આપ્યું હતું કે, ઇઝ ડુઇંગ બિઝનેસ ઘણો વધ્યો છે, પરંતુ નાના દુકાનદારોને ત્યાં ૫-૧૦ મિનિટ જાય અને પૂછે તો ખબર પડે કે, ઇઝ ડુઇંગ બિઝનેસ વધ્યો છે કે નહીં? જીએસટી અને નોટબંધીએ આ બિઝનેસ બરબાદ કરી નાંખ્યો છે. ગુજરાતમાં લોકોમાં અંડર કરંટ છે અને ચૂંટણીના દિવસે ભાજપને કરંટ લાગશે. ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં રોડ શો દરમિયાન ડીપીએસ સ્કૂલની ધો.૧૦ની મનતશા શેખે ૬ કિ.મી. રાહુલ ગાંધીને ફોલો કરીને રાહુલ સાથે સેલ્ફીની ઇચ્છા પૂરી કરી હતી. રાહુલે વાન પર બોલાવીને સેલ્ફી લેવા દીધી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter