સુરત: સારોલીમાં ખોડિયાર મંદિર પાસે કંતેશ્વર રોડ હાઉસમાં રહેતા ૨૨ વર્ષીય મહર્ષ હર્ષદભાઈ પટેલ ૩જી જુલાઈએ રાતે વિહાન ગામથી પોતાના ઘરે કારમાં પરત ફરતા હતા ત્યારે વિહાન ગામ નજીક ઊભેલી ટ્રક સાથે કાર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. એ પછી બારડોલીની હોસ્પિટલ બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કર્યો હતો. જોકે ૯મી જુલાઈએ તેને બ્રેનડેડ જાહેર કરાયો હતો. આ અંગે ડોનેટ લાઈફને જાણ થતાં તેમના પરિવાર અને સંબંધીને અંગદાન અંગેની જાણકારી આપી મહત્ત્વ સમજાવ્યું હતું. પરિવારે યુવાનના અંગદાનની સંમતિ આપતાં સુરતથી અમદાવાદનું ૨૮૦ કિમીનું અંતર ૯૦ મિનિટમાં કાપીને ૩૫ વર્ષીય મહિલામાં યુવાનનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીસ રિસર્ચ સેન્ટર ડોક્ટરોની ટીમે સ્વીકાર્યું હતું. દાનમાં મળેલું લિવર સમાજસેવક દિલીપભાઈ દેશમુખમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. જ્યારે બંને કિડની બે જરૂરિયાતમંદ દર્દીઓ માટે દાન કરાશે. યુવાનનાં હૃદય, કિડની, લિવરના દાનથી ચાર વ્યક્તિને નવજીવન મળ્યું છે.