સુરતઃ વ્હાલાસોયા અઢી વર્ષના બાળકનાં અંગોનું દાન કરીને સુરતના એક પત્રકારે સામાજિક જાગૃતિ ફેલાવી છે. બાળકનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને આંખના દાનથી સાતને નવજીવન મળ્યું છે. રાજસ્થાનના ભટારના અલતાણા ટેનામેન્ટથી બાજુમાં શાંતિ પેલેસમાં રહેતા પત્રકાર સંજીવ રમેશચંદ્ર ઓઝાનો અઢી વર્ષનો પુત્ર જશ ૯મી ડિસેમ્બરે રમતા રમતા બીજા માળેથી પટકાતા ભટારની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયા બાદ ૧૪મી ડિસેમ્બરે બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. આ વખતે ઉપસ્થિત ડોનેટલાઈફના નિલેશ માંડલેવાલાને તેમણે અંગદાનની તૈયારી દર્શાવી હતી. જશની માતાએ એક દિવસ રાહ જોવા વિનંતી કર્યા બાદ મંજૂરી આપી હતી.
હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે ગુજરાતમાં કોઈ દર્દી નોંધાયું નહોતું અને મુંબઈમાં બ્લડગ્રૂપ મેચ થતું નહોતું. તેથી ચેન્નાઈની હોસ્પિટલમાં બાળદર્દી મળતાં જશનું હૃદય સુરતની હોસ્પિટલથી ૧૬૫૦ કિલોમીટરનું અંતર કાપીને ૧૬૦ મિનિટમાં ચેન્નાઈ મોકલાયું હતું. જ્યાં રશિયાના ચાર વર્ષના બાળકમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.જ્યારે ફેફસાં યુક્રેનના ચાર વર્ષના બાળકને ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. બે કિડની પૈકી એક અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લેતી સુરેન્દ્રનગરની ૧૩ વર્ષની બાળકીને અને બીજી કિડની સુરતની ૧૭ વર્ષીય તરુણીને ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. લિવર ભાવનગરની ૨ વર્ષની બાળકીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ચક્ષુઓનું દાન સુરતની લોકદૃષ્ટિ ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.