સુરતઃ કોરોનાના સંક્રમણને ધ્યાને લઇને ચોથી જુલાઈએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સુરતની મુલાકાતે હતા. અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા સેવાસદનમાં અગ્રસચિવ, જિલ્લા કલેકટર, મહાપાલિકા કમિશનર તથા અધિકારીઓ અને તબીબો સાથે બેઠક કરીને કોરોનાને કાબૂમાં લેવા એક્શન પ્લાન બનાવ્યો હતો તેની જાણકારી પણ અપાઈ હતી. નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સ્ટેમસેલ હોસ્પિટલ અને કિડીની હોસ્પિટલમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે બે કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરાઈ હતી. મુખ્ય પ્રધાને ૪થી જુલાઈએ જણાવ્યું હતું કે, આ બે પૈકી સ્ટેમસેલ કોવિડ હોસ્પિટલ ૮થી ૧૦ દિવસમાં તૈયાર થઇ જશે. જ્યારે કિડની હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ એક મહિનામાં કાર્યરત થશે. સપ્તાહથી ઓછા સમયમાં સુરત સિવિલમાં ૨૦૦ વેન્ટિલેટર મોકલીને ઈન્સ્ટોલ થશે.
આરોગ્ય પ્રધાન ખોવાયા છેના પોસ્ટર
મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, પ્રધાનો અને આરોગ્ય ખાતાના આધિકારીઓ સહિતનો કાફલો ચોથીએ સુરત આવ્યો એના આગલા દિવસે ૩જી જુલાઈએ શહેરમાં કેટલાક બેનર્સ જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાનને લઇને પોસ્ટર્સ, બેનર્સ લગાવાયા હતાં. ઠેકઠેકાણે લાગેલાં બેનર્સમાં લખ્યું હતું કે, ‘આરોગ્યમંત્રી ખોવાયા છે, જે કોઈને મળે, સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી’ આ બેનર્સના લીધે તંત્ર દોડતું થઇ ગયું હતું. વરાછા રોડ, કાપોદ્રા, લસકાણા, પાસોદરા, પરવત પાટિયા, વાલક પાટિયા જેવા વિસ્તારોમાં અચાનક લાગેલા બેનરથી તંત્ર દોડતું થઇ ગયું હતું. વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં બેનર લગાવતાં આપના કાર્યકરો અને બનેર હટાવવા કહેતા ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ૩જી જુલાઈએ સવારે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસની બહાર પણ પોસ્ટર લગાવાયેલા હતા. જેના માટે એકાદ કલાક ભારે ઊહાપોહ પછી પોસ્ટર હટાવાયા હતા.
મુખ્ય પ્રધાનના કાફલા સહિતના આગમનના સમયે જ કુમાર કાનાણી લાપતા હોવાથી પોસ્ટર લાગતાં વિવાદ ઊભો થયો એ પછી કુમાર કાનાણીએ વીડિયો મેસેજ જારી કરીને જણાવ્યું હતું કે, મારા ઘરે મારાં પૂત્રવધુ અને પૌત્ર એમ બે જણા કોરોના સંક્રમિત છે. રાજ્યસભાની ચૂંટણીને લઇ કાનાણી ગાંધીનગર હતા અને ત્યાં જ ક્વોરેન્ટાઇન થયાં હતાં. સંક્રમણની ભીતિને લઇ તબીબી સૂચના અનુસાર હું ક્વોરેન્ટાઈન છું અને મારા વિભાગને લગતાં તમામ કાર્યો ઘરેથી કર્યાં જ છે. સુરતમાં પણ મારી ઓફિસ ચાલુ હતી. કાર્યકરોએ જરૂરિયાતમંદોને મદદ કરી જ છે. આ પોસ્ટર એ આગામી મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ લગાવાયા છે. આ સમય રાજનિતીનો નથી, સેવાનો છે.