વેરાવળ: અરબી સમુદ્રના કાંઠે આવેલા સોમનાથ મહાદેવના મંદિર પરિસર નીચે ભૂગર્ભમાં ત્રણ માળનું એલ આકારનું બાંધકામ હોવાનું એક પુરાતત્ત્વીય સંશોધનમાં બહાર આવ્યું છે. એક વર્ષ પહેલાં સોમનાથના ટ્રસ્ટી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં મંદિરના પુરાતત્ત્વનો અભ્યાસ કરવાનું સૂચન વડા પ્રધાન મોદીએ કર્યું હતું. આઈઆઈટી ગાંધીનગરને આ અંગેની કામગીરી સોંપાઈ હતી.
૪ સ્થળે GPR ઇન્વેસ્ટિગેશન કર્યું
આઇઆઇટી ગાંધીનગર ૪ સહયોગી સંસ્થાના આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમ સાથે સોમનાથ આવી હતી. સોમનાથ અને પ્રભાસપાટણમાં કુલ ૪ સ્થળે આ ટીમે જીપીઆર ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. એ પ્રમાણે ગૌલોકધામ, સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર તરીકે ઓળખાતા મેઇન ગેટથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ આસપાસના સ્થળે તેમજ બૌદ્ધ ગુફાનો સમાવેશ થાય છે. તે અંગેનો ૩૨ પાનાંનો રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો.
હિરણના કાંઠે પણ ભૂગર્ભમાં બાંધકામ
પુરાતત્ત્વીય સંશોધનના રિપોર્ટ પ્રમાણે, પ્રભાસપાટણના સોમનાથ હસ્તકના ગૌલોકધામમાં આવેલા ગીતા મંદિરના આગળના ભાગમાં હિરણ નદીના કાંઠે થયેલા સર્વેમાં ભૂગર્ભમાં પાકું બાંધકામ હોવાનું જણાયું છે. દિગ્વિજય દ્વારથી સરદાર પટેલના સ્ટેચ્યૂ પાસે અગાઉ જૂનો કોઠાર નામથી ઓળખાતું બાંધકામ હતું. જે દૂર કરાયું છે. ત્યાં ભૂગર્ભમાં ૩ માળનું મકાન હોવાનું મળ્યું છે. તેમાં એક માળ અઢી મીટર, બીજો માળ ૫ મીટર અને ત્રીજો માળ સાડા સાત મીટરની ઊંડાઇએ છે. સોમનાથમાં અત્યારે યાત્રિકોની સિક્યોરિટી તપાસ થાય છે એ સ્થળે પણ ભૂગર્ભમાં એલ આકારનું બાંધકામ હોવાનું જણાયું છે.
વૈજ્ઞાનિક પદ્ધતિથી આ રિપોર્ટ
ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગરના નિષ્ણાતો આશરે ૫ કરોડની કિંમતનાં મોટાં મશીનો સાથે પ્રભાસપાટણ આવ્યાં હતાં. સોમનાથમાં એક દિવસ રાત્રિ રોકાણ કરી સાઇડ લે આઉટ પ્લાન તેઓએ તૈયાર કર્યો અને ૨ મીટરથી ૧૨ મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર વાઇબ્રેશન આવે એના પરથી નિષ્ણાતોઓએ આ સંશોધન કર્યું હતું.
પાંચ રાજવી દ્વારા જિર્ણોદ્ધાર
બીજી સદીના નાસિકના ઉશતદાત રાજાના શિલાલેખમાં પ્રભાસનો પુણ્ય ભૂમિ તરીકે ઉલ્લેખ છે. ત્યાં ખોદકામમાં પહેલા મંદિરના અવશેષ મળ્યા હતા. એ જગ્યાએ બીજું મંદિર વલ્લભીપુર (ઈસ ૫૦૦થી ૭૦૦)ના રાજાએ બંધાવ્યું હતું. ત્રીજું મંદિર કનોજના ગુર્જર પ્રતિહાર રાજાઓએ (ઈસ ૮૦૦થી ૯૫૦)માં બંધાવ્યું હતું. માળવાના રાજા ભોજ અને ગુજરાતના રાજા ભીમદેવે ત્રીજા મંદિરના અવશેષો પર ચોથું મંદિર બનાવ્યું હતું. ત્યાર બાદ ઈસ ૧૧૬૯માં ગુજરાતના રાજા કુમારપાળે બનાવ્યું હતું અને તેના અવશેષો ઈસ ૧૯૫૦ સુધી રહ્યા હતા. બાદમાં ઈસ ૧૧૬૯માં ગુજરાતના રાજા કુમારપાળે બંધાવેલું સોમનાથાનું પાંચમું મંદિર ૧૩ નવે. ૧૯૪૭ના રોજ ઉતારવામાં આવ્યું તથા નવા મંદિરના નિર્માણનો સંકલ્પ કરાયો હતો. ૮મી મે ૧૯૫૦માં સોમનાથ મંદિરની પાયાવિધિ થઈ હતી. બાદમાં ૧૧મી મે ૧૯૫૧માં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં આવેલો ઉપરકોટ ઐતિહાસિક છે. રાજા ઉગ્રસેન યાદવે અહીં પોતાની રાજધાની બનાવી હોવાનું કહેવાય છે. ત્યારે ઉપરકોટના કિલ્લાનું જીપીઆર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ.