સોહારબુદ્દીન એન્કાઉન્ટર કેસઃ તમામ ૨૨ આરોપીનો છુટકારો

Friday 21st December 2018 06:02 EST
 
 

અમદાવાદઃ ગુજરાતના ચકચારી સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ તેમજ કૌસરબીની કથિત હત્યાના કેસમાં શુક્રવારે ચુકાદો આપતાં મુંબઈ સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે તમામ ૨૨ આરોપીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે ફરિયાદી પક્ષ આરોપીઓ અને કથિત ગુના વચ્ચેના સંબંધને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. સીબીઆઇ કોર્ટના સ્પેશિયલ જજ એસ. જે. શર્માએ કહ્યું કે ફરિયાદી પક્ષે આ કેસને સાબિત કરવા માટે ખૂબ મહેનત કરી છે. ‘હું માર્યા ગયેલા ત્રણ લોકોના પરિવારો પ્રત્યે દિલગીરી વ્યક્ત કરું છું, પરંતુ હું લાચાર છું. કોર્ટ પુરાવાના આધારે ચુકાદો આપે છે. દુર્ભાગ્યપણે આ કેસમાં પુરતા પુરાવા નથી.’

ઉલ્લેખનીય છે કે ભારતભરમાં ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં ગુજરાત, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનના હાલના અને નિવૃત થયેલા પોલીસ અધિકારી પર હત્યા, કાવતરું ઘડવું અને અન્ય આરોપો હતા. આ કેસમાં કુલ ૩૮ લોકો પર ચાર્જશીટ દાખલ કરાઇ હતી. જેમાં ભાજપના વર્તમાન અધ્યક્ષ અમિત શાહ, ભાજપના નેતા ગુલાબચંદ કટારીયા, ઉચ્ચ પોલીસ અધિકારી ડી. જી. વણઝારા ઉપરાંત ગુજરાત અને રાજસ્થાનના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સમાવેશ થતો હતો. ૨૦૧૪થી ૨૦૧૭ની વચ્ચે અમિત શાહ સહિત કુલ ૧૭ આરોપીને કોર્ટે અગાઉ જ ડિસ્ચાર્જ કરી દીધા છે. કેસની ટ્રાયલ ૨૦૦૭માં શરૂ થઈ હતી અને ૨૧૦ સાક્ષીઓની જુબાની લેવાઇ હતી, જેમાંથી ૯૨ સાક્ષીઓ પોતાની જુબાનીથી ફરી ગયા હતા.

કોર્ટે ચુકાદામાં કઈ વાતો નોંધી

સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે જે સાક્ષીઓ અને પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા તે કોઈ કાવતરા કે હત્યાને સાબિત કરવા માટે પુરતા નથી. સીબીઆઈ કોર્ટના ચુકાદા પ્રમાણે આરોપી પોલીસવાળાઓ પર આરોપ સાબિત થઈ શક્યા નથી.
આ ઉપરાંત કોર્ટે તુલસીરામ પ્રજાપતિની હત્યાનું કાવતરું રચાયું હતું તે વાતને પણ ખોટી ગણાવી છે. કોર્ટે કહ્યું કે સીબીઆઈ એ વાત સાબિત નથી કરી શકી કે પોલીસવાળાઓએ સોહરાબુદ્દીનનું હૈદરાબાદથી અપહરણ કર્યું હતું. એ વાતના કોઈ પુરાવા નથી.

કોર્ટે એવું પણ જણાવ્યું કે સરકારી મશીનરી અને ફરિયાદ પક્ષ દ્વારા અઢળક પ્રયાસો કરાયા. ૨૧૦ સાક્ષીઓને રજૂ કરાયા, પણ સંતોષકારક પુરાવા મળી શક્યા નહીં અને સાક્ષીઓ પણ ફરી ગયા. જો સાક્ષી બોલે નહીં તો એ ફરિયાદીનો વાંક ગણી શકાય નહીં.
કોર્ટે એ વાત માની છે કે સોહરાબુદ્દીનનું મોત ગોળી લાગવાને કારણે થયું હતું. જોકે, આ વાતના કોઈ પુરાવા નથી, આ જ કારણ છે કે તમામ આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે.

ચુકાદો સંતોષજનક નથીઃ રુબાબુદ્દીન

કોર્ટના ચુકાદા પર પ્રતિભાવ આપતા સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીને કહ્યું કે આ ચુકાદો સંતોષકારક નથી અને અમે આની સામે હાઈ કોર્ટમાં જઈશું. તેમણે કહ્યું, ‘હું ન્યાયપાલિકા પર આંગળી નથી ચીંધી રહ્યો, પરંતુ આ કેસના ચુકાદામાં જજ ખોટા છે અને તેમણે ખોટો ચુકાદો આપ્યો છે. જો સીબીઆઈને પુરાવાની જરૂર હતી તો તેમણે રજનીશ રાય, દશરથ પટેલ, રમણ પટેલને બોલાવવા જોઈતા હતા. તેમણે આ કોઈને બોલાવ્યા નથી. એન્કાઉન્ટર મામલે અમે સીબીઆઈ તપાસની માગ કરી હતી પરંતુ સીબીઆઈ આ મામલે કંઈ કર્યું જ નથી.’

‘સત્યનો વિજય થયો છે’

સીબીઆઈ કોર્ટના ચુકાદા પર ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે આખરે વર્ષો બાદ સત્યનો વિજય થયો છે. તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને વર્ષો સુધી આ કેસને લઈને પરેશાન કરાયા હતા. તત્કાલિન સરકારને બદનામ કરવાનું ષડયંત્ર હવે ખુલ્લું પડી ગયું છે. ગુજરાતના સિનિયર પોલીસ અધિકારીઓને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા હતા અને હવે તેમની માનસિક યાતનાનો અંત આવ્યો છે. ગુજરાતના ન્યાયતંત્ર પર આડકતરી રીતે અવિશ્વાસ વ્યક્ત કરાયો હતો. પોલીસ તંત્રને ખોટા આક્ષેપો સહન કરવા પડ્યા હતા.

સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર કઇ રીતે થયું?

નવેમ્બર-૨૦૦૫માં સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસરબી અને તુલસીરામ પ્રજાપતિ બસમાં બેસી હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યાં હતાં. આ દરમિયાન ગુજરાત એન્ટિ-ટેરરિઝમ સ્કવોડે તેમની બસ રોકી અને ત્રણેયને ઉતારી લીધા. ત્રણ દિવસ બાદ મતલબ કે ૨૬ નવેમ્બર ૨૦૦૫ના રોજ એક કથિત એન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીનની હત્યા કરી નંખાઇ હતી. કૌશરબીની પણ હત્યા કરી દેવામાં આવી. આ ઘટના બાદ એવા આરોપ લાગ્યા હતા કે આ કથિત એન્કાઉન્ટરમાં ગુજરાતના રાજકારણીઓ અને ગુજરાત સહિત રાજસ્થાનના ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીઓનો હાથ છે.

કોણ હતો સોહરાબુદ્દીન શેખ?

કેસની તપાસ કરી રહેલા ચીફ ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર અમિતાભ ઠાકુરે સીબીઆઈ સ્પેશિયલ કોર્ટમાં કહ્યું હતું કે સોહરાબુદ્દીનની હત્યા રાજકીય અને નાણાકીય લાભને ખાતર કરવામાં આવી હતી. ઠાકુરે આ એન્કાઉન્ટરમાં મુખ્ય પાંચ આરોપી તરીકે અમિત શાહ, આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયન, ડી. જી. વણઝારા અને દિનેશ એમ. એન. અને અભય ચુડાસમા સામે આંગળી ચીંધી હતી.
સોહરાબુદ્દીન શેખ એક ગેંગ્સ્ટર હતો અને તે રાજસ્થાનમાં સક્રિય હતો. તેમના એન્કાઉન્ટર બાદ એવા પણ અહેવાલો આવ્યા હતા કે તેના કથિત રીતે આઈએસઆઈ સાથે સંબંધ હતા. ગુજરાત પોલીસે એન્કાઉન્ટર બાદ એવો દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન શેખના પાકિસ્તાનની ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ ધરાવતો હતો. ઉપરાંત ગુજરાત પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન વર્તમાન વડા પ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને મારવા માટે આવ્યો હતો. આ સાથે જ શેખ પર ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાં હથિયાર સપ્લાય કરવાના આરોપો પણ લાગ્યા હતા.

તુલસીરામનું પણ એન્કાઉન્ટર

સોહરાબુદ્દીન શેખ અને કૌસરબીને ગુજરાત લઈ જવામાં આવ્યાં હતાં ત્યારે તુલસીરામ પ્રજાપતિની રાજસ્થાનમાં ધરપકડ કરી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. સીબીઆઈના જણાવ્યા પ્રમાણે ૨૮ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ તુલસીરામ પ્રજાપતિનું ગુજરાત-રાજસ્થાન સરહદ પાસે આવેલા છાપરી નજીક એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. સીબીઆઈના કહેવા પ્રમાણે તેમાં ગુજરાત અને રાજસ્થાનના પોલીસ અધિકારીઓ સામેલ હતા.
પોલીસે એવો દાવો કર્યો હતો કે કોર્ટ કેસની સુનાવણી બાદ જ્યારે તુલસીરામ પ્રજાપતિને અમદાવાદથી રાજસ્થાન લઈ જવામાં આવતો હતો ત્યારે તેણે છટકી જવાનો પ્રયત્ન કર્યો હતો. તેને અટકાવવા માટે ફાયરિંગ કરવું પડ્યું હતું જેમાં તેનું મૃત્યું થયું.

કેવી રીતે શરૂ થઈ તપાસ?

વર્ષ ૨૦૦૬માં સોહરાબુદ્દીનના ભાઈ રુબાદુદ્દીનએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને આ મામલે એક પત્ર લખ્યો હતો. તેમાં તેમણે આ એન્કાઉન્ટર મામલે તપાસ કરવા માટે વિનંતી કરી હતી અને કહ્યું હતું કે આ એન્કાઉન્ટર નકલી લાગી રહ્યું છે. ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટના નિર્દેશના આધારે આ કેસની પ્રાથમિક તપાસ શરૂ કરાઇ હતી.
સૌપ્રથમ આ તપાસ ગુજરાત પોલીસના અધિકારી વી. એલ. સોલંકીના હાથમાં આવી હતી. તેમણે રાજસ્થાનની જેલમાં કેદ તુલસીરામ પ્રજાપતિની પૂછતાછ માટે મંજૂરી માગી હતી. સોલંકીએ સોહરાબુદ્દીન અને તેમનાં પત્ની કૌસરબીના અપહરણનો તુલસીરામ પ્રજાપતિ સાક્ષી હોવાના નાતે તેની પૂછતાછ જરૂરી ગણાવી હતી. સોલંકીએ ૧૮ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ તુલસીરામ પ્રજાપતિની પૂછતાછ માટેની મંજૂરી માગી હતી. ૧૦ દિવસ બાદ એટલે કે ૨૮ ડિસેમ્બરે તુલસીરામ પ્રજાપતિનું પણ એન્કાન્ટર કરી નંખાયું હતું. આ પછી તુલસીનાં માતા નર્મદાબાઈએ સુપ્રીમ કોર્ટમાં આ એન્કાઉન્ટરની તપાસ કરવા માટે અરજી કરી હતી.
તુલસી પ્રજાપતિના એન્કાઉન્ટર બાદ સુપ્રીમ કોર્ટેના નિર્દેશ અનુસાર ૨૦૦૭માં ગુજરાત ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે(સીઆઈડી) તપાસ શરૂ કરી હતી.
સીઆઈડીની તપાસમાં પ્રથમ વખત સામે આવ્યું કે આ એન્કાઉન્ટર નકલી હતું અને કૌશરબીની પણ હત્યા કરી નાખવામાં આવી હતી અને તેના મૃતદેહને ઈલોલ નજીક સળગાવી દેવામાં આવ્યો હતો.

સીબીઆઈ પાસે કેવી રીતે આવી તપાસ?

સુપ્રીમ કોર્ટને લાગ્યું કે આ તપાસ પૂરતી નથી એટલા માટે આ કેસ ટ્રાન્સફર કરી સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો. ૨૦૧૦માં સીબીઆઈએ આ કેસમાં તપાસની શરૂઆત કરી હતી. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સોહરાબુદ્દીન કેસની ટ્રાયલ પ્રમાણિકપણે ચાલે તે માટે કેસને ગુજરાત બહાર ચલાવવાની માગણી કરી હતી. આ માગણી સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી અને કેસને મુંબઈમાં ટ્રાન્સફર કર્યો હતો. જુલાઈ ૨૦૧૦માં સીબીઆઈએ ૩૮ લોકો વિરુદ્ધ ચાર્જશીટ મૂકી હતી. જેમાં હાલના ભાજપ અધ્યક્ષ અમિત શાહનો પણ સમાવેશ થતો હતો.

અમિત શાહની ધરપકડ અને છૂટકારો

સીબીઆઈ ચાર્જશીટમાં નામ બાદ ૨૦૧૦માં આ કેસ મામલે અમિત શાહની ધરપકડ કરાઇ હતી. જોકે, અમિત શાહને જામીન પર મુક્ત કરાયા હતા. આખરે ૨૦૧૪માં પુરાવાઓના અભાવે શાહને આ કેસમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા. અમિત શાહને કોર્ટે એવું કહેતા આ કેસમાંથી મુક્ત કર્યા હતા કે તેમનું નામ માત્ર રાજકીય કારણોસર આ કેસમાં સામેલ કરાયું હતું.

પોલીસ અધિકારીઓ પણ કેસમાંથી મુક્ત

સીબીઆઈનો આરોપ હતો કે જયારે આ કેસ ગુજરાત સીઆઈડી ક્રાઇમ પાસે હતો ત્યારે ગુજરાતના તત્કાલીન પોલીસ વડા પ્રશાંત ચંદ્ર પાંડે અને તત્કાલીન તપાસની દેખરેખ કરનાર આઈપીએસ અધિકારી ગીથા જોહરી અને ઓ. પી. માથુરે કેસને નુકસાન કરવામાં મહત્ત્વનું કામ કર્યું હતું. ૨૦૧૪માં અમિત શાહ અને રાજસ્થાનના પૂર્વ ગૃહપ્રધાન ગુલાબચંદ કટારીયા સહિત ગુજરાત અને રાજસ્થાનના સિનિયર આઈપીએસ અધિકારીઓ મળીને કુલ ૧૫ વ્યકિતઓને મુંબઈ સીબીઆઈ કોર્ટે પુરાવાના અભાવે કેસમાંથી હટાવી દીધી હતી.
સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના પોલીસ અધિકારી અભય ચુડાસમા, રાજસ્થાનના પૂર્વ ગૃહપ્રધાન ગુલાબચંદ કટારિયા, પૂર્વ ગુજરાત પોલીસ વડા પી. સી. પાંડે અને સિનિયર પોલીસ અધિકારી ગીથા જોહરીને મુક્ત કરી દેવામાં આવ્યાં હતાં.
કુલ ૩૮ વ્યક્તિઓ સામે દાખલ થયેલી ચાર્જશીટમાં ૨૦૧૪થી ૨૦૧૭ વચ્ચે આઈપીએસ અધિકારીઓ અને રાજકારણીઓ મળીને ૧૬ વ્યક્તિને કેસમાંથી મુક્ત કરી દેવાઇ હતી. જે બાદ ૨૧ જુનિયર લેવલના પોલીસ અધિકારીઓ અને એક ફાર્મહાઉસના માલિક સાથે કુલ ૨૨ લોકો પર આરોપો રહ્યા હતા. જેને હવે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ૨૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ મુક્ત કરી દીધા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter