ચોટીલાઃ ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર બોરીયાનેસ નાની મોલડી ગોળાઈ પાસે ૭મી એપ્રિલે હાઇવે ટચ વાડીના કૂવામાં કાર ખાબકતાં ૩ યુવાનોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. કોન્ટ્રાક્ટની કામગીરી કરતા નાની મેલડી અને હડાળાનાં ત્રણ યુવામિત્રો કારમાં સાંજે ટોલનાકાથી મોલડી આવી રહ્યા હતા. કારચાલકે કાબૂ ગુમાવતાં હાઇવેને અડીને આવેલા પાળ બાંધ્યા વગરના કૂવામાં કાર ખાબકી પડી હતી.
ક્રેઇન દ્વારા કારને દોઢ કલાકે કૂવામાંથી બહાર કાઢીને ત્રણેય યુવાનોને દવાખાને લઈ જવાયા હતા. જોકે નાની મોલડીનાં ત્રણેય મિત્રો સુનીલ નારણ જોષી (ઉ. વ. ૩૦), ગિરીશ બાબુભાઈ ચૌહાણ (ઉ. વ. ૩૩) અને હરેશ પાલાભાઈ રાઠોડ (ઉ. વ. ૩૫)ના મૃત્યુ થયા હતા.