જૂનાગઢઃ જિલ્લાના કેશોદમાં ટ્રાફિક જામ, ભીડ ઉમટી પડતાં ૨૭મી એપ્રિલે શહેરની બજારો બંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. કેશોદમાં ગાઇડલાઈનનો ઉલાળિયો કરી લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તંત્ર પગલા ભરવામાં નિષ્ફળ રહેતા શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોને રોકટોક વગર અવરજવર કરવા દેવામાં આવતા બજારોમાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. લોકોની જબ્બર ભીડ એકત્ર થઈ ગઈ હતી. કેશોદમાં હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. કેશોદ ગ્રીન ઝોનમાં આવે છે. તેથી પ્રજા બેફિકર થઈને લોકડાઉનના નિયમનો ભંગ કરીને ફરતી દેખાતાં તંત્ર કડક બન્યું હતું.