ખંભાળિયા: ખંભાળિયામાં રહેતા ચંદુભાઇ અરજણભાઇ રૂડાચ (ઉ. વ. ૩૨) ૨૦મી ફેબ્રુઆરીએ ખંભાળિયાથી અર્ધનગ્ન અવસ્થામાં ગાંધીનગર સુધી પદયાત્રાએ નીકળ્યા હતા. ચંદુભાઈ કહે છે કે, રાજ્યમાં પોલીસ મારા જેવા ગરીબ માણસો પર જુગાર, દારૂના ખોટા કેસ કરે છે. આથી કંટાળીને અર્ધનગ્ન હાલતમાં પદયાત્રાએ નીકળ્યો છું. ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનને મળીશ. આવા મુદ્દે જો મુખ્ય પ્રધાન નહીં મળે તો આત્મવિલોપન પણ કરીશ. ડ્રાઇવિંગ કરતા અને વાહન, જમીન લે-વેચનો વ્યવસાય કરતા ચંદુભાઇએ પદયાત્રા દરમિયાન પોતાના શરીર પર ‘ભ્રષ્ટાચાર અત્યાચાર ગુજરાત સરકાર શું છે વિચાર, ગરીબ માથે કાયમ માર શું છે તમારો વિચાર’ જેવા સૂત્રો લખ્યાં છે.