ઉનાઃ નવાબંદરથી માંડણભાઇ પાંચાભાઇ મજેઠિયાની મેઘદૂત પ્રસાદ નામની બોટ લઇને ટંડેલ રવિન્દ્ર ભીમજી સોલંકી અને તેના ખલાસીઓ ૭૦ કિમી એટલે કે ૩૫ નોટિકલ માઇલ અરબી સમુદ્રમાં જાળ બાંધી માછીમારી કરી રહ્યા હતા. એ વખતે મહારાષ્ટ્રની ૨૦થી ૨૫ બોટ એક જૂથમાં આવી પહોંચી હતી. તેની જાળ તોડી નાંખી ફિશિંગ કરતા ખલાસીઓ પર પથ્થરમારો કરી પાઇપ-ધોકા સાથે માર મારવા લાગ્યા હતા. આ ગેંગવોરમાં ટંડેલ સહિત ૯ ખલાસીઓને નાની મોટી ઇજા થઇ હતી.
હુમલાખોરોએ બોટમાં તોડફોડ કરી બોટ સાથે ખલાસીઓને દરિયાઇ સીમામાં ડૂબાડી દેવાનો પ્રયાસ કર્યો હતો. આથી આ ખલાસીઓ પોતાની બોટ લઇ જીવ બચાવી ભાગી નીકળ્યા હતા. આ બનાવમાં બોટ, જાળ, માછીમારીનાં સાધનો સહિત રૂ. ૨ લાખનું નુકસાન થયું હતું. બનાવ અંગે પોલીસમાં ફરીયાદની તજવીજ શરૂ કરાઇ છે.