જૂનાગઢ: ગિરનાર શિવરાત્રી કુંભમેળાને વીરગતિ પામેલા સૈનિકોનું સન્માન જાળવવા માટે સાદગીપૂર્ણ રીતે ઉજવવાનો ૨૪મીએ સાધુ સમાજે નિર્ણય જાહેર કર્યો છે. સૈનિકો માટે સાધુ-સંતો રૂ. દસ લાખનાં ફાળા ઉપરાંત દાન એકત્ર કરી સૈનિક નિધિમાં જમા કરાવાશે.
ભવનાથ મંદિરમાંથી પંચ દશનામ અખાડાના સંઘરક્ષક, અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી અને ભવનાથ મંદિરના મહંત હરિગિરિજીએ જણાવ્યું કે, ૨૬મીથી ૪ માર્ચ સુધી ભવનાથ તીર્થક્ષેત્રમાં મિનિકુંભ મેળો યોજાશે. રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૫ કરોડની ફાળવણી કરી છે.
તેમણે ઉમેર્યું કે સમગ્ર ભારત વર્ષમાંથી ભાવિકો મેળામાં આવે છે તેથી પ્રાથમિક સુવિધાઓ સુદૃઢ બનાવી છે. ઉતારા-અન્નક્ષેત્રોને મફત વીજળી, પાણી આપવામાં આવશે. તેમણે આ મેળો ખેડૂત, કૃષિકારો અને ગ્રામીણજનોનો મેળો ગણાવ્યો છે. અહીં ભાવિકોને અવિરત પ્રસાદ મળી રહેશે જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે.
શિવરાત્રી મિનિકુંભના વિધિવત પ્રારંભ પૂર્વે મેળો સાદગીથી ઉજવાશે તેવી જાહેરાત તેમણે કરી હતી.
બેન્ડપાર્ટી વગરની રવેડી
મહાશિવરાત્રી મેળા નિમિત્તેની રવેડી (યાત્રા) આ વર્ષે પ્રથમ વખત બેન્ડપાર્ટીની સુરાવલી કે કોઇ વાજિંત્રો વગર નીકળશે તેવી જાહેરાત પણ સાધુ સમાજે કરી છે.