પાલિતાણાઃ ચાતુર્માસના ચાર માસના વિરામ બાદ શેત્રુંજય ગીરીરાજની યાત્રાનો આરંભ થયો છે. મંગળવારે આઠમી નવેમ્બરે વહેલી સવારે જય આદીનાથના જય ઘોષ સાથે તળેટીથી હજારો ભાવિકોએ યાત્રાનો આરંભ કર્યો હતો. યાત્રામાં હજારો જૈન જૈનેત્તર ભાવિકો જોડાયા હતા.
આ યાત્રા દરમિયાન ભાવિકો માટે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ઠેર ઠેર પરબો પર સાદા અને ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ યાત્રિકો માટે ભાતાઘર પણ ખુલી ગયું છે. આ યાત્રાનો લેવા માટે ભાવિકો ઉપરાંત આચાર્ય ભગવંતો, મહારાજ સાહેબો, આરાધકો તેમજ જૈનેતર સહિત હજારો લોકો ઉમટ્યા હતા.
કાર્તિકી પૂર્ણિમાથી શરૂ થતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકોના ધસારાના કારણે સુવિધા જાળવવા માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ હતી. ચાતુર્માસના અંત સાથે જ એક સ્થાને બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પણ પ્રારંભ થયો છે. ચાર માસ દરમિયાન વરસાદ આદિને કારણે શંત્રુજય પર્વત પર સૂક્ષમ જીવોની હિંસા ન થાય તે માટે તીર્થયાત્રા બંધ રખાય છે.