સુરેન્દ્રનગર: ભાદરવા સુદ પાંચમને ઋષિ પાંચમ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં આવેલા કૂંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે એવી માન્યતા છે કે ઋષિ પંચમીના દિવસે આ કૂંડમાં ગંગાજીનું પ્રાગટ્ય થાય છે. તરણેતરમાં ૨૬મી ઓગષ્ટે ઋષિ પાંચમનું સ્નાન કરવા લાખો ભાવિકો ઊમટી પડ્યા હતા.
તરણેતરના મેળામાં માલધારી યુવક-યુવતીઓે હૂડા નૃત્યની રમઝટ બોલાવી હતી. તરણેતરના મેળાની સાચી ઓળખ મોતીએ, આભલામાંથી મઢેલી છત્રી છે. મેળા કમિટિના સભ્ય રામકુભાઈ ખાચરે જણાવ્યું હતું કે પાંચાળ વિસ્તારમાં છત્રી બનાવનારા કારીગરો છે અને છત્રી બનાવવાનો ખર્ચ રૂ. ૫૦ હજાર જેટલો થાય છે. છત્રી બનાવતાં પાંચથી છ મહિના જેટલો સમય લાગે છે. ઋષિ પાંચમે પવિત્ર કૂંડમાં સ્નાન કરવા માટે લાખો ભાવિકો આવ્યા હતા અને ડૂબકી મારીને ધન્યતા અનુભવી હતી. તરણેતરના મેળાની સાંજે પૂર્ણાહુતિ થઈ હતી.