દાંડીના માછીમારનું પાક.ની લાડી જેલમાં મૃત્યુ

Monday 25th July 2022 12:57 EDT
 
 

ઉનાઃ તાલુકાના દાંડી ગામના કાળુભાઈ વીરાભાઈ શિયાળ પોરબંદર માછીમારી કરવા ગયા હતા ત્યારે ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરી ઉઠાવી જવાયા હતા. બે વર્ષ પૂર્વેની આ ઘટનામાં કાળુભાઇને લાડી જેલમાં કેદ કરાયા હતા. જ્યાં તાજેતરમાં તેમની તબિયત કથળતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને છઠ્ઠી જુલાઇએ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
જોકે આ અંગે સત્તાવાળાઓએ તેમના પરિવારને કોઇ જાણ કરી નહોતી. તાજેતરમાં જેલમાં રહેતા તેમના સાથીદાર અને મિત્રોએ કાળુભાઈનું મોત નિપજ્યાના સમાચાર વોટ્સએપના માધ્યમથી પરિવારજનોને મોકલ્યા હતા.
સંદેશામાં જણાવાયું હતું કે ગરાળ ગામના અને દાંડી ગામે રહેતા કાળુભાઈ વીરાભાઈ શિયાળ ત્રણ દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જેમનું છઠ્ઠી જુલાઇએ બપોરે મોત થયું છે. આ ચિઠ્ઠી તમને મળે એટલે તાત્કાલિક અમને વળતી ચિઠ્ઠી લખી મોકલાવજો અને સરકારને રજૂઆત કરો જેથી માછીમારનો મૃતદેહ ભારત પહોંચે અને અન્ય ભારતીય માછીમારોને પણ મુક્ત કરવામાં આવે. ઉના તાલુકાના દાંડી ગામનાં કુલ 500થી વધુ લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે, જેમાંથી ગામના કુલ 35 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter