ખાંભાઃ અમરેલી જિલ્લામાં આતંકી દીપડાએ ૨૮મી અને ૨૯મી સપ્ટેમ્બરે એમ બે દિવસમાં એક બાળક સહિત ત્રણને ફાડી ખાધાં છે. ૨૯મીએ ધારી તાલુકાના મોણવેલ ગામે વાડીમાં ખેતી કરતા સાળા કરશન ભીખા સાગઠિયા (૪૭) અને બનેવી ભુટા અર્જુન વાળા (૪૩)ને દીપડાએ ફાડી ખાધા હતા. કલાકો સુધી બંનેના મૃતદેહો સ્થળ પર પડ્યા હતા. આ અંગે જાણ થતાં વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે લીલિયા રેંજના મોટા ભંડારીયા રાઉન્ડનાં ચાંદગઢ બીટમાં ચાંપાથળ ગામમાં સુરેશભાઇ મનુભાઇ નાકરાણીની વાડીમાં મજૂરી કરતા પરપ્રાંતીય પારસિંગભાઇ માલાભાઇ કટારા પત્ની અને ૩ બાળકો સાથે વાડીએ મકાનમાં હતા. ૨૮મીએ બાળકો વાડીમાં રમતા હતા અને તેની માતા રોટલા ઘડતી હતી. એ સમયે કપાસના ઉભા પાકમાંથી અચાનક જ ધસી આવેલા દીપડાએ ત્રણ બાળકોમાંથી ચિરાગ (ઉં ૬) પર તરાપ મારીને તેને ખેંચી લીધો હતો. માતા પાછળ દોડી હતી. જોકે દીપડાએ બાળકને ફાડી ખાધો હતો અને મૃતદેહ થોડે દૂરથી મળ્યો હતો.